Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : પાટડી ખાતે ધો-10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ-નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો...

દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુના અધ્યક્ષસ્થાને ધો-10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

સુરેન્દ્રનગર : પાટડી ખાતે ધો-10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ-નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો...
X

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુના અધ્યક્ષસ્થાને ધો-10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

દુધરેજ વડવાળા મંદિરના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર પિઠાધિશ્વર અનંત વિભૂષિત 1008 મહંત કનીરામ બાપુના અધ્યક્ષસ્થાને પાટડી વડવાળા મંદિર ખાતે ખારાપાટ રબારી સમાજના ધો-10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે પાટણ દ્વારકેશ કન્યા છાત્રાલયના સંચાલક મગન દેસાઈ, શ્રી વાળીનાથ મહાદેવ મંદિર-તરભ અને લિંબજ માતાજી મંદિર-રાયસણ સંસ્થાના ટ્રસ્ટી સહદેવ દેસાઈ અને બામણવા ગામના રહીશ અને નવનિયુક્ત ડેપ્યુટી કલેક્ટર કલ્પેશ ગરીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ સન્માન સમારોહમાં આશીર્વચન પાઠવતા દુધરેજ વડવાળા મંદિરના મહંત કનીરામ બાપુએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ આજની તાતી જરૂરિયાત છે, શિક્ષણ વિના કોઈપણ સમાજ પ્રગતિ કરી શકતો નથી. હવે આપણો સમાજ શિક્ષણની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યો છે. ટેકનોલોજીના આ જમાનામાં ટકવા માટે શિક્ષણએ અનિવાર્ય બાબત છે. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે માટેના સમાજના પ્રયાસો વિશે વાત કરતા બાપુએ જણાવ્યું હતું કે, આપણા સમાજમાં કન્યાઓના શિક્ષણ પ્રત્યે હજુ જોઈએ તેટલી જાગૃતિ આવી નથી. કન્યાઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે ગુજરાતના દરેક જિલ્લાઓમાં આગેવાનો, યુવાનો કર્મચારીઓ અને સમાજસેવકો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં રાજકોટ ખાતે દીકરીઓ માટે રહેવા જમવા સહિતની આધુનિક સગવડતા ધરાવતું શૈક્ષણિક સંકુલ નિર્માણ પામી રહ્યું છે. જેનો લાભ સમાજની દરેક દીકરીઓને મળવાનો છે. બાપુએ સમાજમાં દીકરીઓ શિક્ષિત અને દીક્ષિત બની બે પેઢીને તારે તે માટે પ્રયાસો કરવા ઉપસ્થિત સૌને જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સન્માન સમારોહમાં 22 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અને 25 નવનિયુક્ત કર્મચારીઓને મહંત કણીરામદાસ બાપુ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલ્ડ, સન્માન પત્ર, સાલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણના આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં ખારાપાટ પરગણાના આગેવાનો, વડીલો, મહિલાઓ, યુવાનો અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story