સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે આવેલ ભલુડો વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હતી. જેના પર સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગ અને લીંબડી ડીવાયએસપી ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાંથી 15થી વધુ ટ્રેક્ટર, 10થી વધુ ચરખી અને 3 લાખથી વધુ કોલસ સહિતનો કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. થાનગઢમાં અનેક પ્રકારના વિવિધ ખનીજો મળી આવતા હોવાથી ભૂમાફિયાઓ ગેરકાયદે ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય છે.
ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આવા ગેરકાયદે ખાડા પર કાર્યવાહી કરી બુરવામાં આવ્યા હતા. પરંતુ તંત્રની મીઠી નજર હેઠળ ફરી આ ખાડાઓ ધમધમતા થયા છે. ત્યારે થાનગઢ ભલુડો વિસ્તારની અંદર કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે થાનગઢ પોલીસ સ્ટેશન અને મામલતદાર ખાતાને અંધારામાં રાખીને મોડી સાંજે લીંબડી ડીવાઇસપી રબારી ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટ અને ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અંદર 15થી પણ વધારે ટ્રેક્ટર, 10થી પણ વધારે ચરખી 3 લાખ કિલોથી પણ વધારે કોલસો પકડી પડાયો હતો. આમ અચાનક દરોડાથી થાનગઢ કોલસા માફિયામાં અચાનક જ દરોડો પડતા ભાગદોડ મચી હતી.