Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : મીઠાના ઉત્પાદન માટે જાણીતા મથક ખારાઘોડાથી હવે ઇલેક્ટ્રિક માલગાડીમાં થશે મીઠાની નિકાસ

સુરેન્દ્રનગર : મીઠાના ઉત્પાદન માટે જાણીતા મથક ખારાઘોડાથી હવે ઇલેક્ટ્રિક માલગાડીમાં થશે મીઠાની નિકાસ
X

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં મીઠાના ઉત્પાદન માટે જાણીતું મથક અને કચ્છના રણના કાંઠે આવેલું શહેર એટલે 'ખારાઘોડા'. ખારાઘોડાથી વર્ષે 160થી 180 જેટલી રેકો ભારતના મોટા ભાગના રાજ્યો અને છેંક નેપાળ સુધી મીઠાની નિકાસ થાય છે. આવનારા દિવસોમાં ખારાઘોડાથી ઇલેક્ટ્રિક માલગાડીઓમાં મીઠાની નિકાસ થતી જોવા મળશે. રેલ્વેના આલા અધિકારીઓ દ્વારા ઝુંડથી ખારાઘોડા સુધી ઇલેક્ટ્રિક લાઇનો નાંખવાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યા બાદ છેંક ખારાઘોડા સુધી રેલ્વે ટ્રેક પર ઇલેક્ટ્રિક લાઇનો નાંખવામા આવતા મીઠા ઉદ્યોગમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.

દેશના કુલ ઉત્પાદનનું 70% મીઠું તો એકમાત્ર ગુજરાતમાં પાકે છે. જેમાંથી 35% જેટલું મીઠું ઝાલાવાડના ખારાઘોડા, ઝીંઝુવાડા, ધ્રાંગધ્રાના કુડા રણમાં અને હળવદના ટીકર રણમાં પાકે છે. ખારાઘોડાથી દર મહિને અંદાજે 15 જેટલી રેલ્વે રેકો એટલે કે વર્ષે 160થી 180 જેટલી રેલવે રેકો દ્વારા આ મીઠું મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના ભારતના વિવિધ રાજ્યો અને છેંક નેપાળ સુધી નિકાસ થાય છે. વધુમાં રેલ્વેને મીઠાની નિકાસ દ્વારા વર્ષે 7થી 8 કરોડની રેલ્વેનૂરની આવક થાય છે, ત્યારે હવે આવનારા દિવસોમાં ખારાઘોડાથી ઇલેક્ટ્રિક માલગાડીઓમાં મીઠાની નિકાસ થતી જોવા મળશે. રેલ્વેના આલા અધિકારીઓ જેમાં શ્યામસુંદર મંગલ અને ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિકલ એન્જીનિયર સુભાષિશ નાગ સહિત રેલ્વે ઇલેક્ટ્રિફિકેશ વિભાગના અધિકારીઓ દ્વારા ઝુંડથી ખારાઘોડા સુધી ઇલેક્ટ્રિક લાઇનો નાંખવાનું વિદ્વાન પંડીતો દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે ખાતમુહુર્ત કરવામાં આવ્યા બાદ રેલ્વે વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે કામ હાથ ધરી છેંક ખારાઘોડા સુધી રેલ્વે ટ્રેક પર ઇલેક્ટ્રિક લાઇનો નાંખવામા આવતા મીઠા ઉદ્યોગમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી.

આ અંગે રેલ્વેના આલા અધિકારીઓએ જણાવ્યું હતુ કે, આ પ્રોજેક્ટથી ઇલેક્ટ્રિક માલવાડીઓ વધુ વજનના વહન સાથે વધુ સ્પીડથી દોડી શકશે જેથી કરીને ગુજરાતના ગૌરવસમા મીઠા ઉદ્યોગને વધુ વેગ મળશે. કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગ દ્વારા ખાનગી રેલગાડીના પ્રોજેક્ટને લીલી ઝંડી અપાયા બાદ રોડ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના વધતા જતા વર્ચસ્વને રોકવા રેલ્વે તંત્રની ખાનગી કંપનીઓને તેમના પોતાના ખાનગી ટર્મિનલ પરથી પ્રાઇવેટ ગુડ્સ ટ્રેન દોડાવવાની મંજૂરી આપવામાં આવશે. આથી આગામી દિવસોમાં મીઠા ઉદ્યોગના પીઠા ગણાતા એવા ખારાઘોડામાં પ્રાઇવેટ માલગાડીમાં પરપ્રાંત અને છેક નેપાળ સુધી મીઠાની નિકાસ થતી જોવા મળશે. રેલ્વે મંત્રાલય દ્વારા ઓછા વજનવાળા અને વધુ માલ વહન કરી શકે તેવા આધુનિક વેગનો બનાવવા મીઠા ઉદ્યોગના માંધાતાઓ પાસે સૂચનો મંગાવાયા છે. ત્યારે આગામી દિવસોમાં રેલ્વે પાટા પર ફાયબર કે એલ્યુમિનીયમની માલગાડી દોડતી નજરે પડે તો નવાઇ નહીં હોય. જોકે, પાટડી ખારાઘોડામાં આજથી 20 વર્ષ અગાઉ દિવસમાં બે પેસેન્જર ટ્રેનોની અવર-જવર થતી હતી. પરંતુ આ સેવા અચાનક બંધ કરી દેવાઇ હતી. આટલા વર્ષોના વિકાસ બાદ પાટડી પથંકના લોકો ખરીદી માટે અમદાવાદ પર નિર્ભર છે. એવામાં ખારાઘોડામાં મીઠાના વહન માટે ઇલેક્ટ્રિક લાઇનો નાંખવાનું કામ પૂર્ણ કરાતા આગામી દિવસોમાં પાટડીમાં પેસેન્જર ટ્રેન શરૂ થવાની આશા જીવંત બનતા લોકોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.

Next Story