/connect-gujarat/media/media_files/pGsiOcwPjqTva5RuT4rZ.jpeg)
ઓખા અને બેટ દ્વારકા ને જોડતા સુદર્શન બ્રિજ પર વરસાદના કારણે ગાબડા પડતા સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે, જ્યારે આ ઘટનાને પગલે વિપક્ષના નેતા એ ભ્રષ્ટાચાર નો આક્ષેપ કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં રૂપિયા 950 કરોડના ખર્ચે સુદર્શન સેતુ નવનિર્મિત થયો હતો,જોકે માત્ર પાંચ મહિનાના સમયમાં જ આ બ્રિજ પર અનેક સ્થળે ગાબડા પડી ગયા હોવાની વિગતો સાથેના ફોટા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બ્રિજનું બાંધકામ સામે અનેક સવાલો ઉભા થયા હતા.
ઓખા અને બેટ દ્વારકા ને જોડતા સુદર્શન બ્રિજનું નિર્માણ કાર્ય એસ.પી.સિંગલા કન્સ્ટ્રક્શન કંપની ને આપવામાં આવ્યું હતું, કહેવામાં આવી રહ્યું છે કે સુદર્શન બ્રિજના નિર્માણનું કામ ચાલુ હતું તે દરમિયાન જ બિહારમાં ગંગા નદી પર બનાવવામાં આવેલો પુલ ધરાશાયી થઇ ગયો હતો.આ ઘટના પછી સુદર્શન બ્રિજનો પ્રોજેક્ટ આ કંપની પાસેથી પરત લેવાની અટકળો પણ શરુ થઇ હતી. બ્રિજ પર ગાબડા પડવાની સાથે બ્રિજ ના સળિયા બહાર દેખાતા હોવાના ફોટા-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જોકે બ્રિજ પર પડેલા ગાબડાને પુરવાની કામગીરી પણ શરુ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આ ઘટના અંગે ના ફોટો વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના X સોશિયલ સાઈટ પર શેર કર્યા હતા,અને સુદર્શન બ્રિજ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા.