ગોધરાના બામરોલી રોડ પર ગંગોત્રીનગરની કરૂણ ઘટના
પુત્રની સગાઈની હરખભેર ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 4 લોકોના મોત
બનાવના પગલે સ્થાનિકો સહિત ફાયર ફાઇટરો દોડી આવ્યા
અત્યંત હૃદયદ્રાવક ઘટનાથી નગરમાં શોકનું મોજું ફરી વળ્યું
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલ ગંગોત્રીનગરમાં રહેતો અને શહેરમાં જાણીતા 'વર્ધમાન જ્વેલર્સ'ના વ્યવસાય સાથે સંકળાયેલો કમલભાઈ દોશીના પરિવારમાં ભારે ઉત્સાહમાં હતો. તેમના 24 વર્ષીય પુત્ર દેવ દોશીની સગાઈ માટે આખો પરિવાર હરખભેર વાપી જવા માટે રવાના થવાનો હતો. મળતી માહિતી મુજબ, મોડીરાત્રે કે વહેલી સવારે મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટસર્કિટ કે, અન્ય કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી.
દુર્ઘટનાનું સૌથી કરુણ પાસું એ રહ્યું કે ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતું, જેના કારણે આગમાંથી પેદા થયેલો ઝેરી ધુમાડો મકાનની બહાર નીકળી શક્યો નહીં, ત્યારે ગાઢ નિદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે, બચવાની જરા પણ તક મળી નહીં. ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી દોશી પરિવારમાં 50 વર્ષીય પિતા કમલભાઈ દોશી, 45 વર્ષીય માતા દેવલબેન દોશી, જેની સગાઈ હતી તે યુવાન પુત્ર 24 વર્ષીય દેવ કમલભાઈ દોશી સહિત 22 વર્ષીય નાનો પુત્ર રાજ કમલભાઈ દોશીનું કરૂણ મોત નીપજ્યું હતું.
બીજી તરફ, બનાવના પગલે આસપાસના લોકોએ જાણ કરતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરબ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યાં 'શરણાઈ'ના સૂર રેલાય તે પહેલાં જ એક હસતા-ખેલતા પરિવારના 4 સભ્યના કરુણ મોત નીપજ્યાં છે. પ્રસંગની ખુશીને માતમના ઘેરા શોકમાં ફેરવી નાખનારી આ ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને સ્તબ્ધ કરી દીધું છે.