-
પ્રાંતિજની મદ્રેસાના ત્રણ મૌલવી સામે પોલીસ ફરિયાદ
-
વિદ્યાર્થી નોંધાવી પોલીસ ફરિયાદ
-
બાળકો પર ગુજારતા હતા અત્યાચાર
-
પ્રાંતિજ પોલીસે બે મૌલવીની કરી ધરપકડ
-
એક મૌલવી હજુ પોલીસ પકડથી દૂર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલી મદ્રેસામાંથી મોડી રાત્રે આઠ બાળકો ભાગી છુટ્યા હતા.અને હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી પોલીસને મળી આવ્યા હતા.મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો, અને અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા.જોકે પોલીસે ત્રણ મૌલવીઓ સામે ફરિયાદ દાખલ કરી જેમાં બે મૌલવીની અટકાયત પણ કરવામા આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં આવેલ જામિયા દારૂ અહેસાન વકફ મદ્રેસા ખાતેથી આઠ બાળકો મોડી રાત્રે ભાગી છૂટ્યા હતા.અને હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા.હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસ તપાસમાં હતી,તે દરમિયાન અસારવા ઉદેપુર ટ્રેનના જનરલ કોચમાંથી ગભરાહટ ભરેલી સ્થિતિમાં આઠ બાળકો મળી આવ્યા હતા.
બાળકોની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ મદ્રેસામાંથી મોડી રાત્રે ભાગ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ રેલવે પોલીસે પ્રાથમિક તપાસ કરી મેડિકલ ચેકઅપ અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં એક બાળકને સારવાર અર્થે એડમીટ કરવામાં આવ્યો હતો.જોકે પોલીસે વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો.બાળકો પર ગુસ્સો કરી સોટી,કેબલ અને પ્લાસ્ટિકની પાઇપ વડે માર મરાતો હોવાનો બાળકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળકે ત્રણ મૌલવીઓ સામે પ્રાંતિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે બાળકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.જોકે મેડિકલ રિપોર્ટમાં અજુગતું જણાશે તો પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ પોલીસ જણાવી રહી છે.હાલમાં પોલીસે બે મૌલવીની ધરપકડ કરી છે,જયારે નાય એક હજી ફરાર છે.