જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા
શહેર થતાં જિલ્લાના 150 રોડ-રસ્તાઓને બંધ કરાયા
વાહન વ્યવહાર બંધ થતાં જનજીવન પર સીધી અસર
રસ્તાઓ બંધ થતાં લોકોને 10થી 30 કિમીનો ચકરાવો
જિલ્લાના કુલ 14 ગામોને એલર્ટ રહેવા તંત્રની અપીલ
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાના 150 રોડ-રસ્તાઓ બંધ થઈ જતાં જનજીવન પર સીધી અસર પડી હતી. તો બીજી તરફ, જિલ્લાના 14 ગામોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા અપીલ કરાય છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ પડતા અંતરિયાળ વિસ્તારોમાં પસાર થતી નદીઓમાં ભારે પાણીની આવક થઈ હતી, જેને લઈને નદીઓ બે કાંઠે વહેતા નદીના પાણી અને લો લાઈન બ્રિજ પરથી પસાર થતા માર્ગને બંધ કરવાની ફરજ પડી હતી. જેથી જિલ્લાના કુલ 150થી વધુ રોડ-રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બેરીકેટિંગ લગાવીને રોડ-રસ્તાઓ પર લોકોની અવરજવર બંધ કરાવવામાં આવી હતી. આ રોડ રસ્તાઓ બંધ થતાં લોકોને 10થી 30 કિમીનો ચકરાવો પડી રહ્યો છે. આ સાથે જ મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમમાંથી કુલ 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં ડેમના કુલ 8 દરવાજા 1.20 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તો બીજી તરફ, જિલ્લાના કુલ 14 ગામોને એલર્ટ રહેવા અપીલ કરાય છે, જ્યારે ઉમરગામ તાલુકાના 7 અને વાપી તાલુકાના 7 ગામને એલર્ટ કરાયા છે.