હિંમતનગર : પ્રાંતિજના તખતગઢ ગામમાં થશે પાણીની બચત, વાંચો શું છે કારણ
પ્રાંતિજના તખતગઢમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દેવા પાણી વિતરણ વ્યવસ્થામાં મીટર લગાવાયા છે. વપરાશના યુનિટના હજુ ચોક્કસ દર નક્કી નથી કરાયા પરંતુ જે ઓવર હેડ ટાંકી ભરવા 16-17 કલાક ઇલેક્ટ્રીક મોટર ચલાવવી પડતી હતી. તે હવે 11 થી 12 કલાક ચલાવવી પડે છે અને પાણીનો પુરવઠો 24 કલાક ચાલુ રખાય છે. આ કારણે પાણીની તંગી ધરાવતુ ગામ પાણીદાર બની ગયુ છે.
તખતગઢ ગામના સરપંચ અને સદસ્યોએ એકઠા થઇ પાણીનો બગાડ અટકાવવા મીટર લગાવવાનો નિર્ણય કર્યો હતો, અને તેમાં વાસ્મોની મદદ મળી હતી. આ પ્રોજેક્ટ સારો હોવાથી તેને નક્કર સ્વરૂપ અપાયુ હતુ. ગામમાં 350 થી વધુ મીટર લાગી ગયા છે. 24 કલાક પાણીનો પૂરવઠો ચાલુ રહે છે. ગમે ત્યારે નળ ખોલો ત્યાં પાણી આવે છે. ત્રીજા માળ સુધી પુરા ફોર્સથી પાણી ચઢે છે. પાણીનો બગાડ પણ ઘટી ગયો છે, હવે પાણીનું બિલ આવનાર હોવાથી વપરાશ પણ કરકસરયુક્ત થઇ ગયો છે.
24 X 7 પૂરા પ્રેશરથી પાણી મળી રહેતા મહિલાઓ પણ ખુશ છે. રાજ્યમાં
પાણીના મીટર લાગ્યા હોય તેવુ આ પ્રથમ ગામ છે. તખતગઢ ગામમાં પાણીના મીટર લગાવતાં
ગામમાં પાણીની તંગી દૂર થઇ ગઇ છે, અને ગ્રામજનો
પાણીની તંગી દૂર થતાં ખુશખુશાલ થઇ ગયા છે. ગામ લોકોનું કહેવું છે કે પહેલાં અમારે પાણીની
બહુ તંગી હતી, પાણીની મોટર ત્રણ-ત્રણ કલાક ચાલવા છતાં પાણી પહોંચતું ન
હતું. અમારો એરિયા ઊંચાણવાળો છે, મીટર લાગી ગયા બાદ હવે બગાડ થતો નથી અને પ્રેશરથી 24 કલાક પાણી આવે છે.