• ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ

  • દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ બાપ્પાની વિદાય

  • કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન

  • તંત્ર દ્વારા 3 સ્થળોએ કૃત્રિમકુંડ બનાવાયા

દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવે આજરોજ ભક્તો વચ્ચેથી વિદાય લીધી હતી ત્યારે ભરૂચમાં નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ ત્રણ કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરાયું છે. શક્તિનાથ નજીક જે.બી. મોદી પાર્ક, મકતમપુર તથા ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા આ ત્રણેય કુંડોમાં આજે પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરવસ્તી નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડમાં નીરના વધામણા કરાયા બાદ વિધિવત ગણેશ પ્રતિમાના વિસર્જનનો પ્રારંભ કરાયો હતો.
અનંત ચતુર્થીના દિવસે ભરૂચ શહેરના દુંદાળા દેવ ગણેશજી વિદાય લેતા, વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું. આ અવસર પર ભક્તિભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને “અગલે બરસ તું જલ્દી આ”ના નારાઓ વચ્ચે બાપાને વિદાય આપવામાં આવી હતી.