ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓએ સરકાર પાસેથી રક્ષણની માગ સાથે રેલી યોજી હતી. મુસ્લિમ બહુમતી ધરાવતા બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર તેમને હુમલાઓ અને ઉત્પીડનથી બચાવે અને હિંદુ સમુદાયના નેતાઓ સામેના રાજદ્રોહના કેસને દૂર કરે તેવી માગણી કરવા શનિવારે ઢાકામાં હિન્દુ સમુદાયના લગભગ 300 લોકો એકઠા થયા હતા.
રેલી કરી રહેલા હિંદુ સમુદાયે કહ્યું કે, જ્યારથી બાંગ્લાદેશમાં ઓગસ્ટ મહિનામાં બળવો થયો છે ત્યારથી હિંદુ સમુદાય પર હજારો હુમલા થયા છે. હિંદુઓ પરના હુમલા અંગે દેશના લઘુમતી જૂથ બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદે કહ્યું કે, 4 ઓગસ્ટથી હિંદુઓ પર 2,000 થી વધુ હુમલા થયા છે. કારણ કે વચગાળાની સરકાર વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે.
