• અલથાણાં વિસ્તારમાં અપહરણ વિથ હત્યાનો બનાવ

  • 55 વર્ષીય વ્યક્તિનો 2 ટુકડા કરેલો મૃતદેહ મળી આવ્યો

  • અપહારણકારોએ માંગી હતી રૂ. 3 કરોડની ખંડણી

  • બેગમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ

  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો

  • સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરત શહેરના અલથાણાં વિસ્તારમાં અપહરણ વિથ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના આલથાણ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ચંદ્રવાન દુબે ગત તા. 13મીના રોજ ગુમ થઈ ગયા હતા. જે મામલે અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાય હતી. જેમાં ચંદ્રવાન દુબેનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, અપહરણકારે રૂ. 3 કરોડની ખંડણી માંગી હતી. જે મામલે પોલીસે ચંદ્રવાન દુબેની શોધખોળ હાથ ધરી હતી.
જોકે, 3 દિવસ બાદ તેમના શરીરના 2 ટુકડા કરેલો મૃતદેહ લિંબાયત વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ  ખસેડયો હતો. તો બીજી તરફ ગુન્હાની ગંભીરતા દાખવી પોલીસ ભેસ્તાન પહોંચી હતી, જ્યાં એક મકાનમાં કેટલાક ઈસમો ગયા હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું.
જેમાં બીજે દિવસે સવારે રાશિદ નામનો ઈસમ 2 બેગ લઈ સ્કુટી પર સવાર થઈ ત્યાંથી નીકળતો જોવા મળે છે. જેને ટ્રેક કરતા લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તે બેગ મળી આવ્યું હતું. આ બેગમાં ચંદ્રવાન દુબેના શરીરના 2 ટુકડા મળી આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.