/connect-gujarat/media/media_files/2025/05/31/0p4CkNV1yePJNpKXRLVn.jpg)
દેશમાં સમય પહેલા ચોમાસાની એન્ટ્રીએ ઉત્તરપૂર્વમાં તબાહી મચાવી છે. છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તરપૂર્વમાં મણિપુર, મિઝોરમ, આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરામાં સતત ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે 32 લોકોના મોત થયા છે.
જ્યારે 12 હજારથી વધુ પરિવારો પ્રભાવિત થયા છે. આ રાજ્યોમાં મકાનો તૂટી પડવાથી મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે. નદીઓ બે કાંઠે થઈ છે. હવામાન વિભાગે તમામ રાજ્યો માટે ચેતવણી જારી કરી છે.
દક્ષિણ મિઝોરમના લોંગટલાઈ શહેરમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે પાંચ મકાનો અને એક હોટલ ધરાશાયી થઈ ગઈ છે. તેમાં ઘણા લોકો ફસાયા હતા. લોંગટલાઈ જિલ્લાની સૌથી મોટી નાગરિક સામાજિક સંસ્થા, યંગ લાઈ એસોસિએશન (YLA) ના સ્વયંસેવકો સાથે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SRDF) અને 3જી ભારતીય રિઝર્વ બટાલિયન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-54 અવરોધિત થઈ ગયો છે, જેના કારણે મિઝોરમના દક્ષિણ જિલ્લા સિયાહાથી લોંગટલાઈનો સંપર્ક કપાઈ ગયો છે.
આસામના કામરૂપ મેટ્રો જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં પાંચ લોકોના મોત થયા છે. પાંચ જિલ્લામાં 12,000 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. ગુવાહાટી અને સિલચરમાં 10 હજારથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. લખીમપુરમાં પાણીએ રિંગ ડેમ તોડી નાખ્યો. IMD રિપોર્ટ અનુસાર, ગુવાહાટી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 90 થી 134 મીમી વરસાદ પડ્યો છે અને ભવિષ્યમાં ભારે વરસાદની અપેક્ષા છે.