મુંબઈમાં NCP અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી છે. બાંદ્રામાં ખેર વાડી સિગ્નલ પાસે તેમના પુત્રની ઓફિસની બહાર હુમલાખોરોએ 3 રાઉન્ડ ગોળીબાર કર્યો. બાબાના પેટમાં 2થી 3 ગોળી વાગી હતી. ત્યારબાદ તેમને તરત જ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ગોળી વાગવાથી ગંભીર ઇજાના પગલે સિદ્દિકીનું મોત નીપજ્યું છે..
મળતી માહિતી મુજબ બાબા સિદ્દીકી રાત્રે લગભગ 9.15 વાગ્યે ઓફિસથી નીકળી ગયા હતા. જ્યારે ગોળીબાર થયો ત્યારે તેઓ પોતાની ઓફિસ પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. એટલામાં જ એક કારમાંથી ત્રણ લોકો બહાર આવ્યા. ત્રણેયના મોં પર રૂમાલ બાંધેલા હતા. તેમણે બાબા સિદ્દીકી પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું. હુમલાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સીએમ એકનાથ શિંદેએ કહ્યું- બે આરોપી પકડાયા છે. આમાંથી એક યુપીનો અને બીજો હરિયાણાનો છે. જ્યારે ત્રીજો આરોપી ફરાર છે.