CBSE ધોરણ 12ના પરિણામ માટે ફોર્મ્યુલા નક્કી, આ રીતે નક્કી થશે પરિણામ
કોરોના મહામારીને કારણે CBSEની 12મી બોર્ડની પરીક્ષાઓ આ વર્ષે રદ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, બાળકોના ગુણોની ગણતરી કયા આધારે કરવામાં આવશે, તે ફોર્મ્યુલા જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને ગુણ આપવાની પ્રક્રિયા સીબીએસઇએ આજે સુપ્રીમ કોર્ટમાં જણાવી. ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ તેમની 10મી, 11 અને 12ની પરીક્ષામાં 30:30:40 ફોર્મ્યુલાના આધારે આવશે. 31 જુલાઈના રોજ પરિણામ જાહેર કરી શકાય છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ધોરણ 12નું પરિણામ 31 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિદ્યાર્થીઓ જો પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તો તે અપીલ કરી શકે છે.
પરિણામ તૈયાર કરતાં સમયે ધોરણ 10ના ત્રણ વિષયોના આધારે 30 ટકા માર્ક્સ આપવામાં આવશે. 11ના આધારે 30 ટકા માર્ક્સ આપવામાં આવશે. પ્રી બોર્ડના આધારે બાકીના 40 ટકા માર્ક્સ આપવામાં આવશે.
ધોરણ 12માં માર્ક્સ આપવાની સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું કે, આ પ્રકારની સ્થિતિ પહેલા ક્યારેય આવી નથી. તેમણે કહ્યું કે, સીબીએસઈ ધોરણ 10, 11 અને 12ના પ્રી બોર્ડ પરિણામને ગણ્યા છે. 10માંના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્કસ ગણવામાં આવશે.
જે અનુસાર, ધોરણ 10માંથી 30 ટકા (ટોપ ત્રણ વિષય, જેમાં સૌથી વધારે માર્કસ આવ્યા હોય) ધોરણ 11માંથી 30 ટકા (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય અને ધોરણ 12 પ્રી બોર્ડમાંથી 40 ટકા મળશે. (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય.)
નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે ધોરણ 12ના વિદ્યાર્થીઓના મૂલ્યાંકને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ થરાઈ હતી. કોરોનાને કારણે બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આજે સુનાવણી એ હતી કે CBSE અને ICSE સહિત રાજ્ય બોર્ડ ધોરણ-12ના માર્ક્સ કેવી રીતે નક્કી કરશે. માર્કિંગને લઈને બોર્ડ તરફથી સુપ્રીમ કોર્ટમાં સમગ્ર પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.