જામનગર શહેરમાં સિંધી સમાજ દ્વારા આજે પરંપરાગત રીતે ચેટિચાંદના પવિત્ર દિવસે ઝૂલેલાલ મંદિરે મહાઆરતી, પ્રસાદ વિતરણ, બાઇક રેલી, બાળકોને યજ્ઞોપવીત, સિંધી લાડા, મહાપ્રસાદ અને ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર સિંધી સમાજ દ્વારા આજે ચેટિચાંદની ભવ્ય ઉજવણી અંતર્ગત માજી મંત્રી પરમાણંદ ખટ્ટરની આગેવાનીમાં સમગ્ર કાર્યકરમના ભવ્ય આયોજનમાં શહેરના જૂના રેલ્વે સ્ટેશન પાસે ઝૂલેલાલ મંદિર ખાતે મહાઆરતી બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સાધના કોલોનીથી ઝૂલેલાલ મંદિર સુધીની બાઇક રેલી શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ ઝૂલેલાલ મંદિરે પહોંચી હતી, જ્યારે બાળકોની યજ્ઞોપવીત વિધિ તથા સિંધી લાડા યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં માજી મંત્રી પરમાણંદ ખટ્ટર, ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, સિંધી સમાજના આગેવાન મુકેશ લાલવાણી, પ્યારેલાલ રાજપાલ, કિશંચંદ પોખરદાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
