જામનગરઃ લાડૂ આરોગવાની અનોખી સ્પર્ધા, 49 વર્ષનાં સ્પર્ધકે ખાધા 14 લાડુ

New Update
જામનગરઃ લાડૂ આરોગવાની અનોખી સ્પર્ધા, 49 વર્ષનાં સ્પર્ધકે ખાધા 14 લાડુ

જામનગરમાં છેલ્લા 11 વર્ષથી ગણેશ ચતુર્થીનાં દિવસે આ સ્પર્ધા યોજાય છે

જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી ગણેશચતુર્થીના દિવસે શહેરમાં આવેલા કાશીવિશ્વનાથ મંદિરમા આવેલ ગીતામંદિર ખાતે ગણેશજીને પ્રિય એવા મોદક આરોગવાની અનોખી ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નાતીજાતીના ભેદભાવ વિના દરવર્ષે કેટલાય સ્પર્ધકો ભાગ લે છે. અને આજે પણ આ સ્પર્ધા ભારે ઉત્સાહ વચ્ચે યોજાઈ હતી

આ લાડુ સ્પર્ધામાં નાના બાળકોથી માંડીને વયોવૃધ લોકો પણ મોદક આરોગવાની આ અનોખી સ્પર્ધામાં ભાગ લે છે. આ સ્પર્ધામાં ૧૦૦ ગ્રામ વજન ધરાવતો લાડુ કોઈ સ્પર્ધક બે તો કોઈ સ્પર્ધક ૧૫ લાડુ સુધી ખાઈ અને પ્રોત્સાહક ઇનામો મેળવે છે. શુદ્ધ ચોખા ઘીના લાડુ સાથે ગરમાગરમ દાળ અહી સ્પર્ધકોને પીરસવામાં આવી હતી. અને સ્પર્ધકો પણ આ રસપ્રદ સ્પર્ધામાં ભાગ લઇ અને આનંદિત થયા હતા.

આજે યોજાયેલ આ સ્પર્ધામાં ૪૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ૯ બેહનો, ત્રણ બાળકો અને ૩૦ પુરુષોનો સમાવેશ થાય છે. જેમાં યુવાઓને શરમાવીને જામકંડોરણાના ૪૯ વર્ષીય નવીનભાઈ દવે ૧૪ લાડુ આરોગી જઈ અને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો

Latest Stories