Connect Gujarat
Featured

જામનગર : જગતના તાત માટે રાજ્ય સરકાર દ્વારા નવી ઉર્જાનો સંચાર, “સૂર્યશક્તિ કિસાન યોજના”નું કરાયું લોકાર્પણ

જામનગર : જગતના તાત માટે રાજ્ય સરકાર દ્વારા નવી ઉર્જાનો સંચાર, “સૂર્યશક્તિ કિસાન યોજના”નું કરાયું લોકાર્પણ
X

ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વની યોજનાનું જામનગર જિલ્લામાં સંસદસભ્ય પૂનમ માડમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે પૂનમ માડમે જણાવ્યુ હતું કે, સૂર્યશક્તિ કિસાન યોજના જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે.

ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વપુર્ણ યોજના સૂર્યશક્તિ કિસાન યોજનાનું જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ખાતેથી યોજાયેલા ખાસ સમારોહમાં સમાણાના 66 કે.વી. સબસ્ટેશનના મેથાણ ફીડરથી લોકાર્પણ સંસદસભ્ય પૂનમ માડમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારે ગ્રામ્ય વિસ્તાર માટે એક ઉત્સાહના સંચાર સમાન વાતાવરણ બની રહ્યું હતું. આ તકે ખેડૂતોને સંબોધન કરતી વેળાએ સાંસદ પૂનમ માડમે જણાવ્યુ હતું કે, જગતના તાતને વિજળી માટે સ્વાવલંબી બનવા બદલ અભિનંદન પાઠવુ છું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોને સન્માનભેર "આત્મનિર્ભર" બનાવવાની દિશામાં કૃષી બીલ સુધારા, કિસાન સહાય પેકેજ, સાત પગલા ખેડૂત કલ્યાણના, ટેકાના ભાવે ખેત ઉત્પાદન ખરીદી અને વાવણીથી વેંચાણ સુધીની અનેકવિધ યોજનાઓ અને જગતના તાતને મદદ કરવા માટે લેવાયેલા અનેક પગલાઓથી ખેડૂતો માટે ઐતિહાસીક પ્રગતિ સાથે હરિયાળી ક્રાંતિના દ્વાર ખુલ્યા છે.

ખાસ કરીને સાંસદસભ્ય પૂનમ માડમએ વધુમાં જણાવ્યુ હતું કે, ખેડૂતો પરસેવો પાડી અથાગ જહેમત કરી ખેત ઉત્પાદન માટે રાત દિવસ એક કરે છે, તેમાં તેમના પરિવારનો પણ નોંધપાત્ર સહયોગ હોય છે. તેમજ આ રીતે અન્નદાતાઓની જહેમત દ્વારા થતા ખેતઉત્પાદનો આપણા ખેતીપ્રધાન રાષ્ટ્રમાં અર્થતંત્ર માટે તેમજ પ્રગતિ માટે મહત્વનો હિસ્સો ધરાવે છે. તેમ જણાવી વાવણીથી વેંચાણ સુધીની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવા અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો પણ સાંસદ પૂનમ માડમે આભાર વ્યક્ત કર્યો હતો.

“સૂર્યશક્તિ કિસાન યોજના” લોકાર્પણ સમારોહ દરમ્યાન જામનગર મહાનગર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, વાસ્મોના ડિરેક્ટર અમુ વૈશ્નાણી, જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ જે.ટી.ડોડિયા, તાલુકા ભાજપ મહામંત્રી માયા બડીયાવદરા, તાલુકા પંચાયત પ્રમુખ ધાના બેરા, મેથાણના સરપંચ નંદલાલ સિદપરા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશ જોષી, મોટી ગોપના પૂર્વ સરપંચ રાજા નંદાણીયા તેમજ આજુબાજુના ગામોના સરપંચો-આગેવાનો ઉપરાંત ખૂબ જ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story