ખેડા : જગતના તાત પર જગતનો નાથ થયો નારાજ, અતિવૃષ્ટિને કારણે સોયાબીનનો પાક નિષ્ફળ
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સોયાબિનના ઉત્પાદનમાં મોખરે એવા ચંદાસર, લાભપુરા, અજુપુરા, હરિપુરા, મૂંગટપુરા, પોરડા, દેવનગર સહિતના ગામોમાં હજારો વિઘાનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે. દેવાના ડુંગર નીચે દબાયેલ ખેડૂત સરકાર પાસે મદદની માંગ લઈ ઉભો છે, તો બીજી તરફ માંગ ન સંતોષાય તો આંદોલનના માર્ગે ચઢે તેવી વ્યથામાં લડી રહ્યો છે.
જગતના
તાત પર જગતનો નાથ નારાજ થયો છે. આ વર્ષે થયેલા ભારે અને કમોસમી વરસાદે સમગ્ર
રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બનાવી છે. જેને લઇ ધરતીપુત્રો માટે કપરી
પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. ખેડા જિલ્લામાં વિવિધ ગામોના ખેડૂતો 5000થી વધુ વિઘામાં દોઢ લાખ(1,50,000)થી વધુ મણ સોયાબીનનું ઉત્પાદન કરતા હતા. જેનાથી ખેડૂત ખુશહાલ જીવન જીવી શકતો હતો.
ખેડૂતોના
જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ૧૦ વીંઘામાંથી ૨૫૦થી
૩૦૦ મણ સોયાબીન પકવતા ખેડૂતોને હાલ ભારે વરસાદને પગલે ૧૦ વીંઘામાંથી માત્ર બિયારણ
જેટલું એટલે કે, ફક્ત ૧૦ મણ ઉત્પાદન મળ્યું છે.
જેને લઇ ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે. વળી 10 વિધે 50,000થી વધુનો ખર્ચો બિયારણ અને દવાઓમાં થતો હોય છે. જેને લઈ ચાલુ ચોમાસુ સીઝનમાં
ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે. જોકે કેટલાક ખેડૂતોએ કુદરત સામે લડવાનો નિર્ધાર કરી
નુકશાની વેઠી ખેતર સાફસુફ કરી નવા પાકના વાવેતરની પણ તૈયારી કરી દીધી છે. ખેડૂતો
દ્વારા અતિવૃષ્ટિથી થયેલા નુકશાન માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ
કરવામાં આવી રહી છે.