• અંકલેશ્વરના અવાદર ગામનો બનાવ

  • દીપડો પાંજરે પુરાયો

  • દીપડાએ વાછરડીનો કર્યો હતો શિકાર

  • વન વિભાગ દ્વારા ગોઠવાયું હતું પાંજરું

અંકલેશ્વર તાલુકાના અવાદર ગામે વાછરડીનો શિકાર કરનાર દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વરના અવાદર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દહેશત મચાવનાર દીપડો અંતે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પૂરાયો છે. દીપડો પકડાતા ગ્રામજનોમાં રાહતનો શ્વાસ લીધો છે.
બે દિવસ પૂર્વે દીપડાએ ગામના એક ડેરી ફાર્મ પર હુમલો કરી ત્રણ વાછરડીઓ પર આક્રમણ કર્યું હતું. જેમાં એક વાછરડીનો શિકાર થયો હતો, જ્યારે અન્ય બે પશુઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો.ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગની ટીમે સ્થળ પર પાંજરું ગોઠવી દેખરેખ વધારી હતી. સતત મોનીટરીંગ બાદ દીપડો પાંજરામાં પુરાયો હતો.દીપડો પકડાતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા. વન વિભાગ દ્વારા દીપડાને તબીબી તપાસ બાદ યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.