અં'તિમ દિવસ : સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચારના પડઘમ થશે શાંત, ભાજપ દ્વારા રાજ્યભરમાં વિશાળ રેલીઓ યોજાઇ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે મતદારોને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર વિશાળ રેલી સહિત જાહેર સભાઓનું આયોજન કરાયું હતું.
રાજ્યભરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના પ્રચારના પડઘમ શાંત થનાર છે, ત્યારે મહેસાણા ખાતે ભાજપ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમ્યાન નગરપાલિકાના તમામ 11 વોર્ડના 44 ઉમેદવારો રેલીમાં જોડાયા હતા. જેમાં મોટી સંખ્યામાં તેઓના સમર્થકો અને કાર્યકર્તાએ પણ રેલીમાં હાજરી આપી હતી, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશાળ રેલી દ્વારા ભાજપે પોતાના ઉમેદવારોનો જંગી પ્રચાર કર્યો હતો. તો સાથે જ મહત્તમ મતદાન થાય તેવી પણ મતદારોને અપીલ કરી હતી.
તો, આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે નગરપાલિકાના ભાજપના ઉમેદવારોના પ્રચારનો અંતિમ દિવસ હોવાથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના વિવિધ માર્ગો પર બાઇક રેલી મારફતે પ્રચાર કરવામાં આવ્યો હતો. તો સાથે જ રેલીમાં હાજર ભાજપના કાર્યકર્તાઓએ દરેક વોર્ડના ભાજપ પેનલના ઉમેદવારોને જીતાડવા માટે બહોળો પ્રચાર કર્યો હતો.