Connect Gujarat
Featured

નર્મદા : કેવડીયાના વિકાસનો નવો આયામ, રેલ પરિવહન સુવિધાના નવા યુગમાં પ્રવેશ કરશે કેવડીયા

નર્મદા : કેવડીયાના વિકાસનો નવો આયામ, રેલ પરિવહન સુવિધાના નવા યુગમાં પ્રવેશ કરશે કેવડીયા
X

નર્મદા જીલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિવિધ પ્રવાસન આકર્ષણો બાદ કેવડીયાના વિકાસનો નવો આયામ શરૂ થવા જઈ રહ્યો છે. તો સાથે હવે કેવડીયા રેલ પરિવહન સુવિધાના નવા યુગમાં પણ પ્રવેશ કરવા જઈ રહ્યું છે.

આગામી તા. ૧૭/૦૧/૨૦૨૧થી કેવડીયા-વડોદરા રેલ્વે લાઇનનું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી ઇ-લોકાર્પણ કરશે, ત્યારે આ પ્રસંગે કેન્દ્રિય રેલ મંત્રી પિયુષ ગોયેલ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિશેષ ઉપસ્થિત રહેશે. કેવડીયા રેલમાર્ગે જોડાતા જ પ્રવાસીઓના પરીવહનમાં વધુ એક સુવિધાનો ઉમેરો થશે. અગાઉ કેવડીયા રોડ તેમજ હવાઇ માર્ગે અને હવે રેલમાર્ગે પણ જોડાતા પ્રવાસીઓ ઝડપથી કેવડીયા પહોંચી શકશે.

સમગ્ર ભારતને એકતાંતણે જોડીને સમગ્ર વિશ્વને વિવિધતામાં એકતાનો સંદેશો આપનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડીયામાં સ્થાપીને દુનિયાને ભારતની એકતા, ક્ષમતા અને દ્રઢતાનો પરીચય કરાવીને કેવડીયાને વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર પાડ્યું છે. આજે કેવડીયા વિશ્વના નકશામાં ચમકી રહ્યુ છે અને દુનિયાભરમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. દેશભરના પ્રવાસન રસિકોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસન સ્થળો જોવા અને જાણવાની ઉત્સુકતા જાગી છે. જેને અનુલક્ષીને વિશ્વની સહુથી વિરાટ સરદાર પ્રતિમાના પ્રેરક અને સ્થાપક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખૂણે ખૂણેથી પ્રવાસીઓને કેવડીયા આવવાની સરળતા થાય તે માટે વિવિધતામાં એકતાના સૂત્રને સાકાર કરતી આ ભૂમિને રેલ પરિવહનની સુવિધાથી જોડવાનો સંકલ્પ કર્યો હતો, જે હવે પૂરો થવા જઈ રહ્યો છે.

હવે કેવડીયા રેલ યુગમાં પ્રવેશે અને દેશના રેલ્વે નેટવર્કમાં બી શ્રેણીના રેલ્વે સ્ટેશન તરીકે તેનું નામ અંકિત થાય એ ઐતિહાસિક ઘડી માટેનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પ્રવાસીઓની સંખ્યા વધતા પ્રવાસીઓ સરળતાથી કેવડીયા પહોંચી શકે તે માટે અલગ-અલગ પરીવહન માર્ગ વિકસાવવા માટે સરકાર કટિબધ્ધ હતી અને તે મુજબ રોડ માર્ગ, હવાઇ માર્ગ અને હવે રેલ માર્ગની સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા હવે દેશનાં મુખ્ય શહેરો જેવા કે, દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, સુરત અને વડોદરાથી ટ્રેન મળી શકશે. કેવડીયા મુકામે રેલ્વે સ્ટેશનનો વિકાસ થતા અને બ્રોડગેજ લાઇનથી જોડાણ થતા અહીના આદીવાસી વિસ્તારનો ઝડપભેર વિકાસ સુનિશ્ચિત બન્યો છે.

Next Story