નવસારી : ટ્યુશન સંચાલકોએ નગરપાલિકાના ચીફ ઓફીસરને આવેદન આપ્યું, નીતિનિયમ અનુસાર પરવાનગીની કરી માંગ

New Update
નવસારી : ટ્યુશન સંચાલકોએ નગરપાલિકાના ચીફ ઓફીસરને આવેદન આપ્યું, નીતિનિયમ અનુસાર પરવાનગીની કરી માંગ

સુરતના અગ્નિકાંડે સમગ્ર તંત્રને હચમચાવી મૂક્યું છે જેને લઈને ટ્યુશનિયા શિક્ષકો પર પગલાં ભરવામાં આવ્યા હતા. અને બેફામ રીતે ચાલતા ટ્યુશન ક્લાસીસોને તાળાં મરવામાં આવ્યા હતા. ત્યારે નવા સત્ર પહેલા ટ્યુશન ક્લાસો ફરી ધમધમતા થાય તે માટે સંચાલકો દ્વારા નવસારીના ચીફ ઓફીસરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

જીવનના બીજા તબક્કામાં હજુ પગ માંડ્યા જ હતા. ત્યાં તો આગની લીલામાં દેશનું અને સમાજનું ભવિષ્ય ઘડનારા 22 યુવાનો હોમાય ગયા હતા. સમગ્ર ગુજરાતમાં આના પડઘા પડ્યા અને દરેક જીલ્લામાં ચાલતા ટ્યુશન ક્લાસિસોની સુરક્ષા અંતર્ગત ચકાસણી કરવામાં આવી અને હજારોની સંખ્યામાં ચાલતા ટ્યુશન ક્લાસિસોને બંધ કરાવવામાં આવ્યા. રાજ્યના તંત્રએ લાલ આંખ કરી બેફામ ચાલતા ટ્યુશન ક્લાસીસો પર કમર કસી અને સીલ કરાવ્યા હતા.

ત્યારે હવે નવું શિક્ષા સત્ર શરૂ થઈ રહ્યું છે અને ટ્યુશન ક્લાસીસના આસરે રોટલી રળતા શિક્ષકો અને સંચાલકો સરકાર ફરી થી નિયમાનુસાર ટ્યુશન ક્લાસીસો શરૂ કરવા પરવાનગી આપે તેની રાહ જોઈ રહ્યા છે.

જેમાં નવસારી શહેર અને જિલ્લામાં પણ ચાલતા તમામ ટ્યુશન ક્લાસો બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે ટ્યુશન સંચાલકોની રોજગારી બંધ થઈ ગઈ હતી. ત્યારે હવે સંચાલકોએ નીતિનિયમોનું પાલન કરીને ખૂટતી કડીઓ પુરી કરી લીધી છે પણ તેમ છતાં તંત્ર દ્વારા પરવાનગી મળી નથી. જેને લઈને આજે શહેરના તમામ ટ્યુશન સંચાલકોએ નવસારી નગરપાલિકાના ચીફઓફીસરને આવેદન આપ્યું હતું અને વહેલી પરવાનગી મળે એવી માંગણી કરી હતી. જેમાં ચીફ ઓફિસરે ઉચ્ચાધિકારી સાથે ચર્ચા કરવાની બાંહેધરી આપી હતી.

Latest Stories