હાથરસ રેપ : ઉત્તર પ્રદેશની કાનૂન વ્યવસ્થા તાર તાર, રાહુલ પ્રિયંકા હાથરસ માટે રવાના
હાથરસ ગેંગરેપ કાંડએ દેશને ફરી એકવાર હચમચાવી દીધો છે. રાજ્ય સરકારે તપાસની ખાતરી આપી છે પરંતુ દેશના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશની કાનૂન વ્યવસ્થાના સરેઆમ ધજાગરા ઊડી રહ્યા છે. ગુનાહિત વારદાતો ઉત્તરૌત્તર વધી રહી છે. રાજ્યના દરેક ભાગોમાંથી બળાત્કાર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીને ન્યાય મળે તે માટે દેશભરમાં રોષ છે. પીડિતાના મોત બાદ તેનું બળજબરી પૂર્વક અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા, જેના પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકીય પક્ષોએ યુપી સરકાર પર નિશાન સાધ્યું છે. આ અંધાધૂંધી વચ્ચે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ જવા રવાના થયા છે.
બંને નેતાઓ હાથરસ પહોંચશે અને પીડિત પરિવારને મળશે. દિલ્હી-નોઈડા બોર્ડર પર યુપી પોલીસની મોટી સંખ્યામાં તહેનાતી હતી, પરંતુ રાહુલ-પ્રિયંકા તેને પાર કરીને ત્યાંથી નીકળી ગયા હતા. જો કે, હાથરસની સીમાઓને સીલ કરી દેવામાં આવી છે અને કલમ 144 લગાવી દેવામાં આવી છે. રાહુલ પ્રિયંકાના પ્રવાસ વચ્ચે સેંકડો કોંગ્રેસી નેતા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને નરેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અગાઉ પીડિતાની હત્યા કરવામાં આવી ત્યારે પ્રિયંકાએ પીડિતાના પરિવાર સાથે ફોન પર વાત કરી હતી. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પ્રિયંકાએ યુપીના સીએમ યોગી આદિત્યનાથનું રાજીનામું માંગ્યું હતું.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, હાથરસ જેવી ભયાનક ઘટના બલરામપુરમાં બની છે, બાળકી પર બળાત્કાર ગુજારી તેના પગ અને પીઠ તોડી નાખી. આઝમગઢ, બાગપત, બુલંદશહરમાં બાળકીઓ પર ક્રૂરતા જોવા મળી. યુપીમાં ફેલાયેલા જંગલ રાજની હદ નથી, માર્કેટિંગ, ભાષણો થી કાયદો અને વ્યવસ્થા ચાલતા નથી, આ મુખ્યમંત્રીની જવાબદારીનો સમય છે, જનતાને જવાબ જોઈએ છે.
રાજ્ય સરકાર દ્વારા રચાયેલી એસઆઈટીએ તેની તપાસ શરૂ કરી દીધી છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની આગેવાની હેઠળની એસઆઈટીની ટીમ પીડિત પરિવારને મળી હતી. જે બાદ માહિતી આપવામાં આવી છે કે ટીમ દ્વારા પ્રારંભિક તપાસ શરૂ કરવામાં આવી છે, સાત દિવસની અંદર દરેક પાસાને મંથન કરી રિપોર્ટ આપવામાં આવશે.