રાજકોટ ભાજપને ઇન્દ્રનીલ રાજ્યગુરુની જરૂર નથી : શહેર ભાજપ પ્રમુખ
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપેલા નિવેદન સંદર્ભે કમલેશ મીરાણીનો વળતો જવાબ
રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સામાજીક કાર્યને લઇ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેણે નિવેદન કર્યું હતું કે, મને ભાજપમાંથી ઓફર આવી હતી પરંતુ મે ના પાડી દીધી હતી. જેની સામે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ ભાજપને ઇન્દ્રનીલ રાજ્યગુરુની જરૂર નથી.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટનું રાજકારણ ગરમાયું છે. જેમાં થોડા સમય પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ઈન્દ્રિલ રાજ્યગુરૂ ફરી રાજકારણમાં પ્રવેશવાનો રસ્તો શોધી રહ્યા છે. તેમણે ભાજપને લઈને આપેલા નિવેદનનો ભાજપનાં રાજકોટ શહેર પ્રમુખે જવાબ આપ્યો હતો.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ ભાજપને ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની જરૂર નથી. ભાજપ દ્વારા તેમને કોઈ ઓફર કરવામાં આવી નથી. કોંગ્રેસ પક્ષમાંથી નાટક રૂપી રાજીનામુ આપ્યા બાદ ફરી પક્ષમાં જવા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુ મહેનત કરી રહ્યા છે. તેથી કોંગ્રેસમાં ફરી પ્રવેશ કરવા માટે ભાજપે ઓફર કરી હોવાની વાત કરવામાં આવે છે જે તદ્દન વાહિયાત છે.