સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓ‌વરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.

હાલમાં જ સાપુતારામાં ખીણમાં બસ ખાબકી હતી અને આ બસમાં રહેલી 57માંથી 55 જિંદગી એક ઝાડને કારણે બચી ગઈ હતી.વિગતો મુજબ રવિવારની સાંજે  સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓ‌વરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી. જેમાં વિન્ડો સીટ પર બેસેલા 3 વર્ષીય ભાઈ અને 7 વર્ષીય બહેનનું ફંગોળાઇ બહાર ફેંકાતા મોત થયું હતું. જ્યારે 28 લોકોને ઇજા થતાં તેમને નજીકના શામગહાન સીએચસી સેન્ટર ખસેડાયા હતા.

જેમાં 4 લોકોની હાલત ગંભીર થતાં તેમને આહવા હોસ્પિટલ રિફર કરાયા હતા. જ્યાંથી સાત જેટલા ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક ઈજાગ્રસ્તે જણાવ્યું કે બસ ખીણમાં ખાબકી ત્યારે ઝાડ સાથે અટકી ગઈ હતી એટલે બચી ગયા હતા.સાપુતારાથી બે કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવર ટેકની લ્હાયમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ ખીણમાં ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઇ હતી.અન્ય 33 પર્યટકોને બીજી બસમાં સુરત મોકલવામાં આવ્યા હતા.