-
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ-મહાકુંભમાં મળ્યું યુવકને મોત
-
ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવતા સુરતનો યુવક ગરકાવ
-
ફાયર અને NDRFની ટીમ દ્વારા યુવકની શોધખોળ કરાય
-
14 દિવસ બાદ પણ યુવકના મૃતદેહની કોઈ ભાળ નહીં
-
મૃતકના પરિવારજનોમાં છવાઈ ગઈ છે શોકની કાલિમા
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ નજીક ડૂબકી લગાવતી વેળા સુરતનો યુવક પાણીમાં ડૂબી જતાં મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો. જોકે, 14 દિવસ વીતી ગયા હોવા છતાં પણ મૃતદેહની કોઈ ભાળ ન મળતા પરિજનોમાં શોકની કાલિમા છવાઈ છે.
મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના પીપળવા ગામના વતની અને હાલ સુરતના કતારગામમાં રહેતા 32 વર્ષીય કમલેશ વઘાસિયા કંપનીમાં કામ કરતા સાથી કર્મચારી અક્ષય ચૌહાણ સાથે પ્રયાગરાજના મહાકુંભમાં ડૂબકી લગાવવા પહોચ્યા હતા. જ્યાં ભક્તોની ભીડ વધુ હોવાથી કમલેશે મિત્ર અક્ષયને ઘાટથી થોડા અંતરે નાગવાસુકી ઘાટ પાસે જઈને ડૂબકી લગાવવાનું કહ્યું હતું. બંને ઘાટથી થોડા દૂર સ્નાન માટે પહોંચ્યા હતા, જ્યાં પહોંચી એક ડૂબકી લગાવે અને બીજો વિડીયો બનાવે તે પ્રકારે નિર્ણય કર્યો હતો. પહેલા કમલેશભાઈએ ડૂબકી લગાવવા સંગમમાં ઉતર્યા હતા. એક બે ત્રણ એમ છ ડૂબકી લગાવ્યા બાદ તેનો પગ લપસી ગયો હતો, અને બાદમાં તે ગુમ થઈ ગયો હતો. જેથી કિનારે ઉભેલો મિત્ર સ્તબ્ધ થઈ તાત્કાલિક નજીકમાં ઉભેલા પોલીસકર્મીને જાણ કરી હતી. જે બાદ ફાયર અને NDRFની ટીમને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી.
તો બીજી તરફ, આ મામલે પરિવારને જાણ થતાં તેઓ પર આભ ફાટી પડ્યું હતું. જોકે, આજે 14 દિવસ બાદ પણ કમલેશ વઘાસિયાની કોઈ ભાળ મળી નહોતી. બનાવના પગલે કમલેશનો મોટો ભાઈ અને અન્ય એક પરિવારજન પ્રયાગરાજ પહોંચ્યા હતા. પ્રયાગરાજમાં મહાકુંભ પર સમગ્ર વિશ્વની નજર રહી છે, ત્યાં નાનામાં નાની ઘટના અંગે તંત્ર સંવેદનશીલ દેખાઈ રહ્યું છે. આ તરફ સુરત ખાતે મૃતકના પરિવાર દ્વારા બેસણું અને બારમું પણ કરવામાં આવ્યું હતું. જોકે, પરિવારને છેલ્લી વાર યુવકનો ચહેરો જોવા મળે તેવી આશા છે. પરિવારના મોભીઓએ યુપી સરકારનો સંપર્ક કર્યો, ત્યારે તેમને હૈયા ધરપત મળી હતી કે, ડુબી જનાર યુવકના મૃતદેહને કિનારે આવતા વધુમાં વધુ 30થી 35 કલાક જેવો સમય લાગી શકે છે. ત્યારબાદ વિના વિલંબે આ યુવકના મૃતદેહને પરિવાર સમક્ષ સોંપવામાં આવશે.