Connect Gujarat
સુરત 

સુરત : AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતાં 17 વર્ષીય પુત્રનું મોત...

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું.

X

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના બંગલામાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી આનંદધારા સોસાયટીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયા સંયુક્ત પરિવારમાં રહે છે. જેઓ ગ્રાઉન્ડ પ્લસ 2 માળનો બંગલો ધરાવે છે. તેમને પરિવારમાં 2 દીકરા છે. મોટો દીકરો અભ્યાસ કર્યા બાદ ધંધો કરે છે, જ્યારે નાનો દીકરો 17 વર્ષીય પ્રિન્સ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. પ્રિન્સ હાલ ધોરણ-12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ગ્રાઉન્ડ પ્લસ 2 માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો. આ દરમિયાન રાત્રે 2 વાગ્યાની આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે ભીષણ રૂપ ધારણ કરી લીધું હતું, જેથી ધુમાડો પણ આખા ઘરમાં પ્રસરી ગયો હતો. આગની ઘટનાની જાણ થતાં આખા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક બેડરૂમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સૂતા હતા, જેને તેના કાકાએ ધુમાડાની વચ્ચે જઈને જગાડ્યા હતા. ત્યાર બાદ તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના 6 સભ્યએ બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દરમિયાન પ્રિન્સ ધુમાડાને કારણે બહાર નીકળી શક્યો નહોતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. બનાવના પગલે ફાયર વિભાગે ભારે મહેનત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો. આ દરમિયાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો, જેને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. પરિવારના નાના દીકરાનું મોત થતાં પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે.

Next Story