સુરત : હીરામાં આવેલી મંદીથી હારી વધુ એક રત્ન કલાકારનો આપઘાત, રત્ન કલાકારોની કથડતી સ્થિતિ ચિંતાનો વિષય..!

સુરત શહેરમાં હીરામાં મંદીના કારણે વધુ એક રત્ન કલાકારે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. તો બીજી તરફ, છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે.

New Update

આપઘાતને અંજામ આપતા પહેલાં યુવકે વીડિયો પણ બનાવ્યો
કહ્યું : હીરામાં મંદીના કારણે જાઉં છું, બાળકોનું ધ્યાન રાખજો...

સુરત શહેરમાં હીરામાં મંદીના કારણે વધુ એક રત્ન કલાકારે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. તો બીજી તરફ, છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે, જે રત્ન કલાકારોની કથડતી સ્થિતિને લઈ ચિંતાનો વિષય બન્યો છે.

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં સતત હીરાની ચમક ઘટી રહી છે. હાલ મંદીએ હીરાના ધંધાને બરોબર ભરડામાં લઈ લીધો છે. જેને લઈને રત્ન કલાકારો સહિત સૌકોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. લોકો હવે હીરાના ધંધાથી દૂર થઈ રહ્યા છે, ત્યારે હીરામાં આવેલી મંદીથી હારી વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો હતો.

 મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના સતરાવા ગામના રહેવાસી અને હાલ સુરત-કામરેજના શેખપુર ગામે આવેલા હરીદર્શન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય મનસુખ સૌદરવા હીરા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, ત્યારે હીરામાં મંદી હોવાના કારણે તેઓ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા. જેથી તેઓ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા.

આખરે ગત તા. 1 જાન્યુઆરી-2025ના રોજ તેઓએ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. રત્ન કલાકારે આપઘાત કરતા પહેલાં વિડિયો પણ બનાવ્યો હતો. જેમાં તે હીરામાં આવેલી મંદીથી કંટાળી આપઘાત કરતો હોવાનું જણાવી રહ્યો છે. આ સાથે જ દુ:ખભર્યા સ્વરે મારા બાળકોનું ધ્યાન રાખજો તેમ પણ કહી રહ્યો છે. સમગ્ર બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી.

તો બીજી તરફ, ઘટના અંગે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે મદદની માંગ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં હડતાળ યોજી સરકાર સામે સહાયની પણ માંગ કરી હતી, જ્યારે છેલ્લા દોઢ વર્ષમાં 65 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે.

જોકે, હાલ રત્ન કલાકારોની કથડતી સ્થિતિને લઈ ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે સરકાર વહેલી તકે કોઈ આર્થિક સહાય કે, મદદ નહીં કરે તો આ આંકડો વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Read the Next Article

સુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય

સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

New Update
  • DGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

  • આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

  • ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે જોડાયા

  • આપ અને કોંગ્રેસMLA એક સાથે રહેતા ચર્ચા

  • DGVCL વિરુદ્ધ ઉગ્ર સૂત્ર ચાર કરી વિરોધ દર્શાવ્યો

સુરતમાંDGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાMLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.જે ઘટના રાજકીય ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની હતી.

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ધારાસભ્યો એક બીજા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. આ મુદ્દે આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલીDGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત DGVCL ખાતે આપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એક જૂથ થઈને ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ વીજ કંપનીના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા,અને ઉમેદવારોને નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.તેમજ 35 ઉમેદવારોને આવતીકાલે નોકરી આપવામાં આવશે અને અન્યને ઓગસ્ટ સુધીમાં તબક્કા વાઈઝ નોકરી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં મહેકમની જગ્યાઓ જે આઉટસોર્સિંગથી ભરવાની છે,તેમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.