રેલવે પટરી પરથી યુવકનો મળ્યો મૃતદેહ
હાથ પગ બાંધેલી હાલતમાં મળ્યો મૃતદેહ
બોથડ પદાર્થ મારીને યુવકની કરાઈ હત્યા
અનૈતિક સંબંધની આશંકાએ યુવકની હત્યા
પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ
સુરતના અમરોલી વિસ્તારમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા નજીક રેલવે ટ્રેક પરથી એક યુવકનો હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓની ધરપકડ કરી અને હત્યા પાછળનું કારણ અનૈતિક સંબંધોની શંકા હોવાનું જણાવ્યું હતું.
સુરત અજની ઇન્ડસ્ટ્રી અમરોલી ક્રિભકો સાઇડિંગ રેલવે લાઈન વચ્ચે ઓમપ્રકાશ ઉર્ફે ઓમબાબુ રામનરેશ યાદવ ઉ.વ. 35નો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો હતો.મૃતકના બંને હાથ પાછળના ભાગે કાળા કપડાથી બાંધેલા હતા. બંને પગ પણ પટ્ટાથી બાંધેલા હતા. માથાના ભાગે અને મોઢા પર બોથડ પદાર્થ વડે માર મારવામાં આવ્યો હતો. જેના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. ઓમપ્રકાશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના ઉન્નાવનો રહેવાસી હતો અને અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ કરતો હતો.આ ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓની પણ ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હત્યા પાછળનું મુખ્ય કારણ અનૈતિક સંબંધોની શંકા હોવાનું બહાર આવ્યું છે. મૃતક ઓમપ્રકાશ યાદવને પાંચ આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાની માહિતી મળી હતી. આ બાબતે આરોપીઓ પૈકીના એક સાથે મૃતકને અગાઉ તકરાર પણ થઈ હતી.
આખરે, આ બાબતનો ખાર રાખીને પાંચેય આરોપીઓએ એકસંપ થઈને ઓમપ્રકાશને પકડી, તેના હાથ-પગ બાંધી દીધા અને બોથડ પદાર્થ વડે ગંભીર ઇજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચેય આરોપીઓ મોહીત નમીનારાયણ બીન્દ, રોહીત નમોનારાયણ બીન્દ, અર્પીત ઉર્ફે પીન્ટુ બુધ્ધીલાલ યાદવ, સત્યમ ઉર્ફે આકાશ રંજનલાલ યાદવ અને વિવેક મોતીલાલ યાદવની ધરપકડ કરી છે.પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.