Connect Gujarat
સુરત 

સુરત : રાજસ્થાનમાં થયેલ બાળકની હત્યા મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતનો દલિત સમાજ દ્વારા વિરોધ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સુરતની મુલાકાતે આવવાના હતા. જોકે, કોઈક કારણોસર તેમનો કાર્યક્રમ રદ્દ થયો હતો.

X

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સુરતની મુલાકાતે આવવાના હતા. જોકે, કોઈક કારણોસર તેમનો કાર્યક્રમ રદ્દ થયો હતો.તો બીજી તરફ રાજસ્થાનમાં થયેલ બાળકની હત્યા પ્રકરણમાં સુરત દલિત સમાજના આગેવાનો વિરોધ પ્રદર્શન કરવા એકત્રિત થયા હતા, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને દલિત સમાજના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. તો બીજી તરફ તમામ રાજકીય પાર્ટીઓ પણ સક્રિય બની છે, ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ગુજરાત ઓબ્ઝર્વર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. તેઓની ઉપસ્થિતિમાં આજે ચૂંટણી માટે રણનીતિ બનાવવાથી લઈને ઉમેદવારો નક્કી કરવા સુધીની ચર્ચા દક્ષિણ ગુજરાતની બેઠકમાં થનાર હતી. પરંતુ તેઓનો આજે સુરતનો પ્રવાસ રદ્દ થયો છે. જોકે, તેઓની ગેરહાજરીમાં બેઠક પણ યોજાય હતી. આ બેઠકમાં ગુજરાત પ્રભારી ડો. રઘુ શર્મા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિત અલગ અલગ જિલ્લાના પ્રમુખો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જોકે, સુરત ખાતે બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આવવાના હોય, ત્યારે દલિત સમાજના આગેવાનોએ કાળા વાવટા સાથે વિરોધ દર્શાવવા એકત્રિત થયા હતા. તાજેતરમાં જ રાજસ્થાનમાં શિક્ષકે 8 વર્ષના માસુમ બાળકને ઢોર મારતા બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, ત્યારે આ ઘટનાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. તો સુરતમાં વસતા દલિત સમાજના લોકો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા માટે પહોચ્યા હતા. જોકે, વિરોધ પ્રદર્શન દરમ્યાન દલિત સમાજના આગેવાનો અને કોંગ્રેસનો કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી.

Next Story