-
પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈસુ
-
ભગવાન ઈસુની જન્મજયંતિ નિમિત્તે ક્રિસમસની ભવ્ય ઉજવણી
-
ચોક બજાર વિસ્તાર સ્થિત CNI ચર્ચ ખાતે ક્રિસમસની ઉજવણી
-
શહેરભર ચર્ચમાં ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન
-
ક્રિસમસ પર્વ નિમિત્તે એકમેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી
સુરત શહેરના ચોક બજાર વિસ્તાર સ્થિત CNI ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં પ્રાર્થના સભા બાદ એકમેકને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈસુની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ખ્રિસ્તી સમાજના લોકોમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે. આજે 25 ડિસેમ્બરના દિવસે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
ખાસ કરીને મીની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર વિસ્તાર સ્થિત CNI ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સુંદર રોશનીથી સજાવવામાં આવ્યું છે, જ્યાં વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઇ હતી. અહીં આજના દિવસે વહેલી સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. એટલું જ નહીં, તા. 25 ડિસેમ્બર-2024થી લઈને તા. 1 જાન્યુઆરી-2025 સુધી ક્રિસમસ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.