-
શહેરના ઇસ્કોન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું આયોજન
-
જગન્નાથજી રથયાત્રાની તૈયારીઓને લઈને આયોજન કરાયું
-
ભગવાન જગન્નાથજીની ભવ્ય સ્નાનયાત્રા વિધિ સંપન્ન થઈ
-
અષાઢી બીજના રોજ જગન્નાથજી નગરયાત્રાએ નીકળશે
-
મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી
સુરત શહેરના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની ભવ્ય સ્નાનયાત્રા વિધિને ભક્તિમય માહોલમાં સંપન્ન કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
સુરત શહેરમાં ધાર્મિક પરંપરા અને શ્રદ્ધાના અનોખા સંગમ સમી ભગવાન જગન્નાથજીની વાર્ષિક સ્નાનયાત્રા ઇસ્કોન મંદિરમાં ભક્તિમય માહોલમાં સંપન્ન કરવામાં આવી હતી. આ અવસરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમાઓને વિધિવત અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું. હિંદુ ધર્મની પ્રાચીન પરંપરા અનુસાર, સ્નાનયાત્રા બાદ ભગવાન બીમાર પડતા હોવાનું માનવામાં આવે છે.
આ પરંપરાને અનુસરીને, સુરત ખાતે ઇસ્કોન મંદિર સ્થિત ભગવાન જગન્નાથનું નિજ મંદિર હવે આગામી 2 અઠવાડિયા સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ભગવાન આરામ કરશે, અને ભક્તોને તેમના દર્શન થઈ શકશે નહીં. પરંપરા મુજબ, આ 2 અઠવાડિયાના વિરામ બાદ દર વર્ષે અષાઢી બીજ પર્વના શુભ દિવસે ભગવાન જગન્નાથજી મંદિરના દ્વાર ભક્તો ફરીથી ખુલશે, જ્યાં અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથ સુરતની નગરયાત્રાએ નીકળશે, અને હજારો ભક્તો તેમના રથને ખેંચીને શહેરના માર્ગો પર શોભાયાત્રા કાઢશે. આ યાત્રા માટે ઇસ્કોન મંદિર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં શહેરભરમાંથી ભક્તો ઉત્સાહભેર જોડાશે તેવી અપેક્ષા છે.