-
સચીનમાં ઉદ્યોગપતિ પાસે ખંડણી માગવાનો મામલો
-
કેમિકલ નહેરમાં ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી
-
બે ખંડણીખોરોએ રૂપિયા 5 કરોડની માંગી હતી ખંડણી
-
RTI કરીને ઉદ્યોગપતિને કરતા હતા બ્લેકમેલ
-
ક્રાઈમ બ્રાન્ચે કરી બંને ખંડણીખોરોની ધરપકડ
-
પોલીસે રૂપિયા 51.40 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરત સચિન જીઆઈડીસીમાં ઉદ્યોગપતિને નહેરમાં ઝેરી કેમિકલ ઠાલવીને પ્રદુષણ ફેલાવી રહ્યા હોવાની ધાકધમકી બે ખંડણીખોરોએ આપી હતી,અને રૂપિયા 5 કરોડની માંગણી કરી હતી,જે ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂપિયા 51.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ખંડણીખોરોની ધરપકડ કરી હતી.
સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન જીઆઈડીસીમાં એક ઉદ્યોગપતિને બે ખાંડણીખોરો દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી,જેમાં તેઓએ ઉદ્યોગપતિને ઝેરી કેમિકલ નહેરમાં ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી,અને જો કેસમાં ન પડવું હોય તો પતાવટ પેટે રૂપિયા 5 કરોડની ખંડણી માંગી હતી.જે અંગે કંપનીના ડાયરેક્ટર મહેન્દ્ર ધીરજલાલ સોમલિયાએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી,અને ક્રાઇમ બ્રાન્ચને આ અંગેની તપાસ સોંપવામાં આવી હતી.જે ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું,અને ખંડણીખોરો રૂપિયા 45 લાખની ખંડણી વસૂલવા જતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.પોલીસે આરોપી અજય રમેશભાઈ ત્રિવેદી અને તેજસ ભરતકુમાર પાટીલની ધરપકડ કરી હતી.આરોપીઓની ધરપકડ સાથે પોલીસે રોકડા રૂપિયા 45 લાખ,એક કાર, બેગ એમ કુલ મળી રૂપિયા 51 લાખ 40 હજાર 950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં ખંડણીખોરો RTI કરીને ઉદ્યોગપતિને બ્લેકમેલ કરતા હોવાનું પણ બહાર આવ્યું હતું,હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.