વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે આજરોજ તેઓએ કાપડ નગરી સુરતમાં રૂપિયા 3472.54 કરોડનાં 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયું હતું
વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીના સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા.ત્યાર બાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ હતી. ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનના હેલિપેડથી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સભા સ્થળ સુધીના 2.70 કિમીના રૂટ પર મેગા રોડ શો યોજાયો હતો. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકોએ તેમને પુષ્પવર્ષાથી વધાવ્યા હતા. રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.રોડ શો બાદ પી.એમ. મોદી સભા સ્થળે પહોંચ્યા હતા અને તેઓના હસ્તે રૂપિયા 3472.54 કરોડનાં 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પી.એમ.મોદીએ ચિક્કારજનમેદનીને સંબોધન કર્યું હતું તેઓએ પોતાના સંબોધનમાં લોકોને નવરાત્રીના પર્વની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે સુરત શહેર લોકોની એકતા અને જનભાગીદારી બંનેનું ઉદાહરણ છે. ભારતના દરેક વિસ્તારના લોકો સુરતમાં રહે છે. એક પ્રકારે મિની ભારત છે. શ્રમનું સન્માન કરનારું શહેર છે. વિકાસની દોડમાં જે પાછળ રહી જાય છે તેને હાથ પકડી આગળ લઈ જાય છે. છેલ્લાં 20 વર્ષમાં સુરતે અન્ય શહેરની સામે વધુ પ્રગતિ કરી છે. સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સ્થાન મળ્યું છે.