પી.પી.સવાણી પરિવાર દ્વારા સમૂહ લગ્નોત્સવ
કોયલડી સમૂહ લગ્નોત્સવ યોજાયો
133 દીકરીઓને પિતાની હુંફ આપતા મહેશ સવાણી
દીકરીઓના વિદાયવેળાએ ભાવસભર દ્રશ્યો સર્જાયા
દીકરીઓને સુખી લગ્નજીવનના આશીર્વાદ પાઠવ્યા
સુરત પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓનો કોયલડી લગ્ન સમારોહ યોજાયો હતો.જેમાં 133 દીકરીઓને સુખી લગ્નજીવનના આશીર્વાદ સાથે ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
સુરતમાં પી.પી.સવાણી પરિવારના આંગણે દરવર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. 20 અને 21 ડિસેમ્બરે યોજાયેલા લગ્ન સમારોહમાં કુલ 133 દીકરીને પિતાની હુંફ આપીને મહેશભાઈ સવાણીએ વિદાય આપી હતી.સમાજના મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા. દરેક દીકરીના માથે હાથ મૂકીને મહેશ સવાણીએ પિતા તરીકે દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી હતી. આ લગ્ન સમારોહ સમૂહમાં યોજાય છે, પણ એમાં દરેક દીકરીને પોતીકો પ્રસંગ લાગે એવી રીતે ઉજવાય છે.
આ સમૂહ લગ્ન સમારોહમાં કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એવી 16 બહેનોના હસ્તે થયું હતું કે જેમને પોતાના પરિવારજનના અંગદાનની સંમતિ આપી હતી.
લગ્ન સમારોહની સંધ્યાએ લગ્ન અને ઉત્સવના ગીત ગુંજતા હતા, એ ધીમે-ધીમે વિદાયના સુરમાં પરિવર્તિત થઇ ગયા હતા.ખુશીના રંગો વિદાયની વેદનામાં રૂપાંતરિત થયા હતા.દીકરીઓ એક પછી એક પોતાની માતાને, બહેનોને, સ્નેહીજનોને ભેટીને રડી રહી હતી, પરંતુ જ્યારે દીકરીઓ પાલક પિતા એવા મહેશભાઈને મળવા આગળ વધી, ત્યારે લાગણીઓના બંધ તૂટી પડ્યા હતા. દીકરી અને મહેશ સવાણી બંનેની આંખમાંથી આંસુઓનો ધોધ વહેવા લાગ્યો હતો. એ માત્ર આંસુ નહોતા એમાં પિતૃત્વનો સાગર અને નિષ્કામ પ્રેમનો પ્રકાશ હતો. મહેશભાઈ દરેક માંડવામાં પહોંચીને, દરેક દીકરીના માથે હાથ મૂકી, આશીર્વાદ વરસાવ્યા હતા.
આ પ્રસંગે લેખક-વક્તા શૈલેષ સગપરિયાએ લખેલું વલ્લભભાઈ સવાણીના જીવનચરિત્ર પુસ્તક ‘આરોહણ’ અને મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર પર ડો. જિતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક ‘પ્રેરણામૂર્તિ’ અને પિતાવિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક ‘કોયલડી’નું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.