મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક
સરથાણા નેચર પાર્કની રોનકમાં કરાયો વધારો
ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂથી વાઘની જોડી ભેટ મળી
સરથાણા નેચર પાર્કમાં 3 કદાવર વાઘનો ઉમેરો
45 દિવસના ક્વોરન્ટાઇન બાદ જોવા મળશે વાઘ
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં દોઢ મહિના બાદ પાર્કની રોનકમાં વધારો થવા જઈ રહ્યો છે.
ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ઓરિસ્સાના ભુવનેશ્વર ઝૂની મુલાકાતે ગયેલી સુરત મહાનગરપાલિકાની ટીમને એક નર અને એક માદા વાઘની જોડી ભેટ મળી છે, ત્યારે હવે સુરતના સરથાણા નેચર પાર્કમાં 3 વાઘનું આગમન થતાં દોઢ મહિના બાદ પાર્કની રોનકમાં વધારો થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત 2 માદા વરૂ, 2 નર અને 3 માદા શિયાળ, 2 માદા બાર્કિંગ ડિયર તથા 1 નર અને 2 માદા ચોશિંગા પણ સરથાણા નેચર પાર્કમાં લાવવામાં આવ્યા છે. આ પ્રાણીઓના બદલામાં સુરતથી નંદન કાનન ઝૂને 3 નર અને 2 માદા જળબિલાડી, 1 નર અને 1 માદા સિલ્વર ફિશાઉલ, 10 કાચબા તથા 2 નર વરૂ અપાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ઓક્ટોબરમાં ઈન્દોરથી 1 નર વાઘ સુરત લવાયો હતો. આ સાથે પાર્કમાં ‘ક્રિષ્ણા’ વાઘ સહિત હવે વાઘની સંખ્યા 4 થઈ ગઈ છે, જ્યારે 2 વ્હાઇટ સાથે વાઘની કુલ સંખ્યા 6 થઈ છે. જોકે, પ્રોટોકોલ અનુસાર 45 દિવસ ક્વોરન્ટાઈન રાખી વાઘને કાયમી પ્રદર્શનમાં મુકાશે.