-
"નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન"ને આપવામાં આવ્યો વેગ
-
નશાના કારોબારને રોકવા હવે પોલીસ સમાજ સેવા પણ કરશે
-
ગુજરાતમાં સૌપ્રથમ વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ-1નો પ્રારંભ
-
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટનું ઉદ્ઘાટન કરાયું
-
પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ
ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે લોકો ડ્રગ્સના બંધાણી છે, તેવા લોકોની ઓળખ ગુપ્ત રાખી તેઓને નશા દલદલમાંથી બહાર લાવવામાં આ યુનિટ મદદરૂપ બનશે.
ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટની સુરતમાં શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ એ નશાના કારોબારને રોકવાનું અભિયાન ચલાવશે, તેમજ નશાના બંધાણીને લત છોડાવવા કવાયત હાથ ધરશે. ઉપરાંત સેન્ટરમાં જો કોઈ ડ્રગ્સનો બંધાણી આવશે તો પોલીસ તેની ઓળખ ગુપ્ત રાખશે. સાથે ડ્રગ્સના બંધાણી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે. ડ્રગ્સની લતમાંથી બહાર લાવી તેમનું જીવન સુધારવામાં મદદ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સની સામે સુરત પોલીસ પહેલાથી જ "નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન" ચલાવી રહી છે. એટલે કે, આ એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારે રિહેબ સેન્ટરનું કામ કરવા જઈ રહ્યું છે.