તાપી : સોશિયલ મીડિયામાં વિનામુલ્યે અપાતા અનાજ બાબતે કરી પાયાવિહોણી પોસ્ટ, અપલોડ કરનાર 2 લોકો સામે તંત્રની લાલ આંખ
કોરોનાના સંક્રમણને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય
સરકારના તમામ વિભાગો જ્યારે ખભેખભા મિલાવીને રાતદિવસ જોયા વિના અને તેમના પરિવારજનોની ચિંતા કર્યા વિના, સરકારની સૂચનાઓ અને માર્ગદર્શન અનુસાર અવિરતપણે
કામગીરી કરી રહ્યા છે, ત્યારે કેટલા
વ્યક્તિઓ દ્વારા સરકારની કામગીરી બાબતે પૂરતી ચકાસણી કર્યા વિના, પાયાવિહોણી બાબતોને સોશિયલ મીડિયામાં અપલોડ કરવા સાથે, જિલ્લા અને તાલુકાના
કંટ્રોલ રૂમોમાં પણ ખોટી ફરિયાદો કરીને, અધિકારી/કર્મચારીઓની કામગીરીમાં રૂકાવટ લાવવામાં આવી રહી છે, જે બાબતે તાપી જિલ્લા વહીવટી તંત્રએ લાલ આંખ કરતાં
આવા વ્યક્તિઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
તાજેતરમાં જ રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર તા. 1
એપ્રિલથી તાપી જિલ્લાના નિયત રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ઉચ્છલ તાલુકાનાં નુરબાદ ગામના યુવાને તેના ફેસબુક ઉપર “સડેલી ચણા-દાળ”નો જૂનો ફોટો વાયરલ
કરીને તેની સાથે વાંધાજનક લખાણ લખીને પાયાવિહોણી બાબતને ચર્ચાનો વિષય બનાવી હતી. જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના ધ્યાને આ બાબત આવતા તેમણે
તાત્કાલિક તેમના ચુનંદા ઉચ્ચ અધિકારીઓની ટીમને આ બાબતની સત્યતા ચકાસવા રવાના
કર્યા હતા. જેમાં આ બાબત બિલકુલ ખોટી અને પાયાવિહોણી હોવાની પુષ્ટિ થવા પામી હતી.
જેથી પ્રજાજનોની લાગણી ભડકાવનાર આ વ્યક્તિ સામે વહીવટી
તંત્રએ લાલ આંખ કરતાં, આ પોસ્ટ અપલોડ કરનાર
યુવાને તંત્ર સમક્ષ ઉપસ્થિત થઈ, તેના દ્વારા આ ભૂલ થઈ ગઈ હોવાનું, અને તેના પરિવારને પૂરતું અને ગુણવત્તાયુક્ત અનાજ મળી ગયું હોવાનું જણાવ્યુ
હતું. ભવિસ્યમાં ક્યારેય પણ આવી પોસ્ટ અપલોડ કે ફોરવર્ડ
નહીં કરવાની બાંહેધરી સાથે જિલ્લા વહીવટી તંત્રને માફીપત્ર પણ આ યુવાન દ્વારા લખી આપવામાં આવ્યું છે. અન્ય એક કેસમાં વ્યારા તાલુકાનાં
કાટગઢના રહેવાસીએ ગત તા. 1 એપ્રિલના રોજ જિલ્લાના કંટ્રોલ રૂમના ટેલિફોન ઉપર પ્રજાજનોને વિનામુલ્યે આપવામાં આવતું અનાજ, નિયત ધારાધોરણ કરતાં ઓછું આપવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ કરી હતી. જેની ચકાસણી કરતા આ બાબત પણ પાયાવિહોણી જણાઈ આવતા, વહીવટી તંત્રએ આ વ્યક્તિ વિરુદ્ધ પણ કડક રૂખ અખત્યાર કર્યું હતું. જેને પગલે ખોટી ફરિયાદ કરનારને પણ જિલ્લા
વહીવટી તંત્રને ભવિસ્યમાં આવી ફરિયાદ નહીં કરવાની બાંહેધરી આપવા સાથે
માફીપત્ર લખી આપ્યું છે.
તાપી કલેક્ટર આર.જે.હાલાણીએ આ બાબતે વિગતો આપતા
જણાવ્યુ હતું કે, કોઈ પણ વ્યક્તિની ફરિયાદ સાચી હશે, તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની ચકાસણી કર્યા બાદ જરૂરી કાર્યવાહી
કરવામાં આવશે. પરંતુ પાયાવિહોણી ફરિયાદો કે માત્ર ટીખળ
કરવાના હેતુસર કરાતી ફરિયાદો તંત્ર સાંખી નહીં લે, અને આવી ફરિયાદો કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેની સૌ પ્રજાજનોને નોંધ લેવા પણ તેમણે જણાવાયું છે.