/connect-gujarat/media/post_banners/2be08c2d06cf4e6fdd74caf803e4781adc046ca9b5c4a9d01a0c18d790ef88ab.jpg)
તમે મીઠી નીંદર માણી રહયાં હોવ અને તમારી બાજુમાં મગર આવી જાય તો..... કઇક આવી જ ઘટના વડોદરાના લાલબાગ બ્રિજની ઝુંપડપટ્ટી પાસે બની હતી.વડોદરામાં વારંવાર મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મગરોના માનવીઓ ઉપર હુમલાના બનાવો બનતા હોય છે. વડોદરા શહેરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ઘટનાની વાત કરવામાં આવે તો વડોદરાના રાજમહેલ રોડથી વિશ્વામિત્રી જવાના રસ્તે લાલબાગ બ્રિજ નીચે શ્રમજીવીઓ ઝુંપડાઓ બાંધીને વસવાટ કરે છે.
એક ઝુંપડામાં ચાર શ્રમજીવીઓ સુઈ રહ્યા હતા ત્યારે ચાર ફૂટનો મગર ઝુપડામાં ઘૂસી ગયો હતો. શ્રમજીવીઓ નિરાંતે નીંદર માણી રહ્યા હતાં ત્યારે મગર તેમનાથી 5 ફૂટ દૂર ચોકડીમાં અડીંગો જમાવીને બેસી ગયો હતો. સવારે ઉઠેલા શ્રમજીવી પૈકી એક જણાનું ધ્યાન ચોકડી તરફ જતા કાંઈક હલતુ દેખાયું હતું. તેણે ફરીથી જોયું તો ત્યાં મગર દેખાયો હતો. જેથી શ્રમજીવીઓ દોડીને બહાર નીકળી ગયા હતાં. ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોને જાણ કરી હતી. કાર્યકરોએ અડધો કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.