વડોદરા : ઢોર પકડવાની કામગીરીને મનપાએ મોડે મોડે આપ્યો વેગ, તો લોકોએ ઉઠાવ્યા સવાલ..!
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
દુર્ઘટના સર્જાયા બાદ કામગીરી કરવા ટેવાયેલ વડોદરા મહાનગરપાલિકા તંત્રએ વધુ એક વખત રખડતા ઢોરના કારણે થયેલા વૃદ્ધાના મોત બાદ ઢોર પકડવાની કામગીરીને વેગ આપતા અનેક સવાલો ઉઠ્યા છે.
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અગાઉ પણ અનેક નિર્દોષ નાગરિકોના રખડતા ઢોરના કારણે મોત થયા છે. આ ઘટનાઓનો સિલસિલો આજે પણ યથાવત છે. અગાઉ જાહેર મંચ પરથી પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે વડોદરા મેયરને રખડતા ઢોર મામલે ટકોર પણ કરી હતી. તેમ છતાં પણ શહેરમાં હજી પણ રખડતા ઢોરો નજરે પડી રહ્યા છે, ત્યારે મોડે મોડે ભર નિંદ્રામાંથી જાગી ઉઠેલા વડોદરા મહાનગરપાલિકા તંત્રએ હવે ઢોર પકડવાની કામગીરીને વેગ આપ્યો છે. પાલિકાની ઢોર પાર્ટી એ ઘટના બાદ વધુ 34 ઢોર પકડ્યા હતા. સમગ્ર શહેરમાં પાલિકાની 9 જેટલી ટીમો ઢોર પકડવાની કામગીરીમાં જોડાઈ હોવાનું પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું છે. જોકે, બીજી તરફ પાલિકાની આ કાર્યવાહીથી ઢોર માલિકોમાં પણ ફફડાટ ફેલાયો છે