/connect-gujarat/media/post_banners/fb460b87fc5f0151bb8fcaa4694cea22e507c4b59b23420ac462d5416935187f.jpg)
વડોદરા શહેરના બહુચરાજી સ્મશાન ખાતે ચિતા ખૂટી પડતાં આકરા તાપમાં મૃતકોના સ્વજનો અટવાયા હતા.
વડોદરા શહેરના બહુચરાજી સ્મશાન ખાતે મૃતદેહોનો ખડકલો જોવા મળ્યો હતો, અને તેના કારણે અનેક મૃતદેહ વેઇટિંગમાં રહ્યા હતા. ધોમધખતા તાપમાં મૃતકના સ્વજનોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. શહેરમાં એક તરફ ખાસવાડી સ્મશાનનું સમારકામ ચાલી રહ્યું છે, અને તેના કારણે કેટલાય મૃતદેહોને અંતિમ ક્રિયા માટે બહુચરાજી સ્મશાન ખાતે લઈ જવામાં આવે છે. બહુચરાજી સ્મશાન ખાતે મૃતદેહોનો ખડકલો જ લાગ્યો હતો. એક સાથે 3થી 4 જેટલા મૃતદેહોને સ્વજનો લઈ આવી પહોંચ્યા હતા. જેના કારણે ચિતા પણ ઓછી પડી ગઈ હતી. એક તરફ માથા ઉપર તપતો સૂર્ય હતો, અને બીજી તરફ સળગતી ચિતાઓનો તાપ. આ બન્ને વચ્ચે મૃતકોના સ્વજનો અટવાઈ પડ્યા હતા. તો સ્મશાન ખાતે રાખવામાં આવેલ પાણીના જગ પણ ખાલી થઈ જતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. બહુચરાજી સ્મશાન ખાતે અવાર-નવાર આવી ઘટનાઓ ઘટતી રહે છે, ત્યારે હવે ખાસવાડી સ્મશાનનું સમારકામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અથવા તો બહુચરાજી સ્મશાનમાં અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.