/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/IMG-20181213-WA0109-1.jpg)
કંટ્રોલરે મિટિંગમાં ગયો હોવાનો રાગ આલાપી પોતાનો બચાવ કરવાનો લુલો પ્રયત્ન
વાગરા એસ.ટી.મથકમાં આવેલ કન્ટ્રોલ કેબીન "રામ ભરોસે"ના મથાળા હેઠળ છપાયેલા અહેવાલો વાંચી ધુઆ-પુઆ થયેલા કંટ્રોલરે પત્રકારને ફોન કરી પોતે તાલુકા પંચાયતમાં ગરીબ કલ્યાણ મેળા અર્થે સંકલનની મિટિંગમાં ગયો હોવાનો રાગ આલાપી પોતાનો બચાવ કરવાનો લુલો પ્રયત્ન કર્યો હતો.પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઇક અલગ જ ચિતાર વ્યક્ત કરતી હોવાનું સામે આવ્યુ છે.
આ અંગે વાગરા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ ૧૩ મી તારીખે મિટિંગ હોવા સાથે ૧૨ ડિસેમ્બરના રોજ ગરીબ કલ્યાણ મેળા અંગે સંકલનની કોઈજ મિટિંગ રાખવામાં ન હોવાની વાત રજૂ કરી હતી.આમ કંટ્રોલર દ્વારા રજૂ કરવામાં આવેલ વાતનો કોઈ જ વજૂદ ન રહેતા તેઓની વાતનો છેદ ઉડી ગયો હોવાની હકીકતો બહાર આવી હતી.ખોટી વાતો રજૂ કરી કન્ટ્રોલર દ્વારા એસ.ટી.ના ઉચ્ચ અધિકારીઓની આંખમાં ધૂળ ઝોંકવાનું કાર્ય પણ કરવામાં આવ્યુ હોવાની વાત છતી થઈ હતી.
વાગરા નગર સ્થિત બસ ડેપોમાં આવેલ કંટ્રોલ કેબીન નધણીયાતી હાલતમાં તેમજ કંટ્રોલર તરીકે ફરજ બજાવતા કર્મચારી ફરજ પર ગેર હાજર જોવા મળ્યા હતા.જે અંગે પ્રસાર માધ્યમોમાં ફોટા સહિતના અહેવાલો પ્રસિદ્ધ થતા સત્યને જીરવી ન શકનાર ગુલ્લીબાજ એસ.ટી.કર્મચારીએ પત્રકારને ફોન કરી પોતે તાલુકા પંચાયતમાં ગરીબ કલ્યાણ મેળાના કામ અર્થે ગયા હોવાનો રાગ આલાપ્યો હતો.
આ બાબતે પત્રકારે વાગરા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક સાધતા તેઓએ ૧૨ ડિસે ના રોજ ગરીબ કલ્યાણ મેળા અંગે કોઈ જ મિટિંગ ન બોલાવી હોવાની માહિતી પૂરી પાડી હતી.તો સદર કન્ટ્રોલર ખોટી હકીકતો રજૂ કરી કયા ગયા હતા???.તે હાલ તપાસનો વિષય બની જવા પામ્યો છે.
- ડેપો મેનેજરને ફોન કરીને ગયો હતો: નરપતસિંહ (કન્ટ્રોલર)
વાગરા એસ.ટી.ડેપો કન્ટ્રોલરની કન્ટ્રોલ કેબિનમાં ગેરહાજરી અંગે છપાયેલા અહેવાલોથી ડઘાયેલા કન્ટ્રોલર નરપતસિંહે સમાચારો સંદર્ભે પત્રકારને ફોન કરી ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે પોતે ડેપો મેનેજરને ફોન કરીને ગયો હોવાની વાત આગળ ધરી લુલો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.તો બીજી તરફ કન્ટ્રોલ ઓફિસની બહાર પોતાની ગેરહાજરી સબબ કોઈ નોટિસ પણ ન લગાવાઈ હોવાની બેદરકારી પ્રકાશમાં આવી હતી.