આશિષ કુમારને સંકટગ્રસ્ત બજેટ એરલાઇન સ્પાઇસ જેટને બચાવવાની જવાબદારી મળી છે. તે તેમના માટે એક મોટી જવાબદારી છે. સ્પાઈસ જેટે તા. 30 જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 784 કરોડની ખોટ કરી છે. બજેટ એરલાઇન સ્પાઇસ જેટે શુક્રવારે જણાવ્યું હતું કે, તેણે આશિષ કુમારને તેના મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.
સ્પાઇસ જેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમની નિમણૂક તા, 9 સપ્ટેમ્બરથી લાગુ થશે. આશિષ કુમારે 31 ઓગસ્ટે પોતાનું પદ છોડનારા સંજીવ તનેજાનું સ્થાન લીધું છે. ઓછી કિંમતની એરલાઇન સ્પાઇસ જેટમાં જોડાતા પહેલા, આશિષ કુમાર જાન્યુઆરી 2019થી ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝમાં કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા હતા.
સ્પાઇસ જેટ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, તેણે અગાઉ 2014 થી 2018 સુધી પાંચ વર્ષ માટે ઇન્ટરગ્લોબ હોટેલ્સમાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે સેવા આપી હતી. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં સ્પાઈસ જેટની હાલત ખૂબ જ ખરાબ છે. કંપની તરલતાની તંગીનો સામનો કરી રહી છે. સ્પાઇસ જેટે 30 જૂને પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 784 કરોડની ખોટ નોંધાવી છે, જે એક વર્ષ અગાઉ રૂ. 731 કરોડની ખોટ હતી.
માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં પણ કંપનીને રૂ. 485 કરોડની ખોટ થઈ હતી. સ્પાઈસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે કહ્યું છે કે, સ્પાઈસ જેટનું પુનર્ગઠન કરવું અને તેને ઝડપી વૃદ્ધિના માર્ગ પર પાછું લાવવું એ એક મોટો પડકાર છે. આશિષ કુમારના અનુભવ અને ટ્રેક રેકોર્ડને ધ્યાનમાં લેતા એમ કહી શકાય કે, તેઓ આ પ્રયાસને સફળતાપૂર્વક દોરી શક્યા છે. એરલાઈને 30 જૂનના રોજ પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં રૂ. 789 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 729 કરોડની ખોટ હતી. ઈંધણના ઊંચા ભાવ અને રૂપિયાના અવમૂલ્યનને કારણે સ્પાઈસ જેટની હાલત વધુ ખરાબ થઈ હતી. આ સમયગાળા દરમિયાન કંપનીનો ઓપરેટિંગ ખર્ચ રૂ. 1,995 કરોડની સામે રૂ. 3,267 કરોડ રહ્યો હતો.