આધાર કાર્ડ ફરજીયાત જ રહેશે,વચગાળાની આદેશ આપવાનો SCનો ઇન્કાર
કેન્દ્ર સમાજ કલ્યાણ યોજનાઓનો લાભ મેળવવા આધાર ફરજિયાત બનાવતા બહાર પાડેલા જાહેરનામાની સામે સર્વોચ્ચ અદાલતે વચગાળાનો આદેશ આપવાનો મંગળવારે ઇન્કાર કર્યો હતો.
જયારે કેન્દ્ર આધાર નહીં ધરાવતી વ્યક્તિને સરકારની સમાજ કલ્યાણ યોજનાના લાભથી વંચિત નહીં રાખવાની બાંયધરી આપી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અરજદારોની માત્ર ધારણાને આધારે વચગાળાનો કોઈ આદેશ આપી ન શકાય. આધાર નહીં હોવાથી સરકારની સમાજ કલ્યાણ યોજનાનાં લાભથી વંચિત રહી હોય એવી કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા આગળ પણ નથી આવી.
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલીસીટર જરનલ તુષાર મહેતાએ કહ્યું હતું કે જો કોઈ પાસે આધાર નહીં હશે, તો પણ સરકાર તેને સામાજિક કલ્યાણની યોજનાઓ લાભો આપશે. તેમણે 8 ફેબ્રુઆરીની અધિસુચનાના સંદર્ભમાં કહ્યું હતું કે તેમાં સ્પષ્ટ કરાયેલું છે કે જો કોઈ પાસે આધાર નહીં હોય તો તેને આ લાભો બીજા ઓળખ પત્ર જેમ કે વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્સ,પાસપોર્ટ અને પાન કાર્ડ બતાવીને પણ મળશે,આ અધિસુચનાનો ઉદેશ્ય એટલો છે કે કોઈ બનાવટી વ્યક્તિ આ લાભોને ન ઉઠાવે, તેમણે અદાલતને વધુમાં જણાવ્યું હતું કે જેમની પાસે આધાર નથી,તેમને તે માટે નોંધણી કરાવા માટેની અંતિમ તારીખ 30 જૂન હતી જેને સરકારે લંબાવીને 30 સપ્ટેમ્બર કરી હતી. આ સમયગાળામાં કોઈ પણ સામાજિક કલ્યાણની યોજનાના લાભોથી વંચિત નહીં રહેશે.