કિયા પાટિયા નજીક કારે મોટર બાઇકને ટક્કર મારતાં દંપત્તીનું કરૂણ મોત

નેશનલ હાઇવે નંબર ૪૮ પર પાલેજથી ચાર કીમી ના અંતરે આવેલા કરજણ તાલુકાના કિયા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે દોડી રહેલી કારે બાઈકસવાર દંપતીને ટક્કર મારતા દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.
[gallery td_select_gallery_slide="slide" size="large" td_gallery_title_input="કિયા પાટિયા નજીક કારે મોટર બાઇકને ટક્કર મારતાં દંપત્તીનું કરૂણ મોત" ids="108128,108129,108127"]
વડોદરા-ભરૂચ ટ્રેક પર કિયા ગામના પાટિયા પાસે કાર નંબર જીજે - ૧૬ - બી એન - ૪૧૧૦ ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારી કિયા ગામના પાટિયાને ક્રોસિંગ કરી રહેલા બચાર ગામના કાન્તીભાઇ પાટણવાડીયા તેમજ મીનાબેન પાટણવાડીયાને ટક્કર મારતા દંપતિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ખાડામાં પલટી જઇ લોચો વળી જવા પામી હતી તેમજ મોટર સાયકલનો પણ ખુરદો બોલી ગયો હતો. અકસ્માત કરનારા કારના ચાલક વિશે કોઈ પણ જાતની માહિતી મળવા પામી નથી. પ્રાપ્ત માહિતી મુજબ મીનાબેન પોતાના ભાઇને રક્ષાબંધન પર્વ પ્રસંગે રાખડી બાંધી પરત જઇ રહ્યા હતા ત્યારે કાર યમદૂત બનીને ત્રાટકતાં દંપતી કાળનો કોળિયો બની જવા પામ્યા હતા.
અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતા કરજણ પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પી એમ અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. અકસ્માતને પગલે વાહન વ્યવહારને પણ થોડીવાર માટે અસર થવા પામી હતી. અકસ્માત સંદર્ભે રમેશભાઇ રમશીંગભાઇ પાટણવાડીયાએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.