ગુજરાત કોંગ્રેસમાં ભુકંપ : ચાર ધારાસભ્યોના રાજીનામા અધ્યક્ષે સ્વીકાર્યા
રાજયમાં 26મી માર્ચના રોજ થનારી વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસને મરણતોલ ફટકો પડયો છે. તેના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં ભાજપના ત્રણેય ઉમેદવારોના વિજયનો માર્ગ મોકળો બની ગયો છે.
ગુજરાતમાં
કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને અકબંધ રાખે તે પહેલાં તેમાં ગાબડુ પાડવામાં ભાજપને
મોટી સફળતા મળી છે. રવિવારે સવારથી કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં
હોવાની વાતો વહેતી થતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બયાનબાજી શરૂ થઇ ગઇ હતી.
કોંગ્રેસના આગેવાનોએ સબ સલામત હોવાના દાવા કર્યા હતાં. આખા દિવસના રાજકીય ધમાસાણ
બાદ સાંજે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર ત્રિવેદીએ મૌન તોડયું હતું. તેમણે
કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ સ્વૈચ્છિક રીતે રાજીનામા આપ્યાં હોવાનો સ્વીકાર કર્યો
હતો. ચારેય ધારાસભ્યોના રાજીનામાના પત્રની ચકાસણી કરીને રાજીનામાનો સ્વીકાર કરી
લેવાયો હોવાથી તેઓ હવે ધારાસભ્ય પદે રહેતાં નથી.
જો કે
વિધાનસભાના અધ્યક્ષે રાજીનામા આપનારા ચાર ધારાસભ્યો કોણ તેની પર ફોડ પાડયો નથી. પણ
આ ધારાસભ્યોમાં પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા ગાંડા પટેલ, પ્રવિણ મારૂ, જે.વી.કાકડીયાનો સમાવેશ થઇ શકે છે. ચાર
ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ કફોડી હાલતમાં મુકાઇ ગઇ છે. કોંગ્રેસમાં ચાલતી
જુથબંધી ખુલીને સામે આવી ગઇ છે. કોંગ્રેસના બેમાંથી એક ઉમેદવાર પોતાની ઉમેદવારી
પાછી ખેંચે તેવી પણ શકયતા રહેલી છે.