નર્મદામાં પાણી વધતા ગોરા ગામના ડૂબાડૂબ બ્રિજ પાણીમાં ગરકાવ: ૮ ગામો સંપર્ક વિહોણા

New Update
નર્મદામાં પાણી વધતા ગોરા ગામના ડૂબાડૂબ બ્રિજ પાણીમાં ગરકાવ: ૮ ગામો સંપર્ક વિહોણા

ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. નર્મદા ડેમમાં 6 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેના કારણે હાલ ડેમની સપાટી 130.10 મીટર સુધી પહોંચી છે. દર કલાકે 32 સેમીનો પાણીનો વધારો થઇ રહ્યો છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને 131 મીટર ભરવાની મંજુરી આપી છે.

નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ થઇ ગયું છે. જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે કર્યો આદેશ કર્યો છે, જેમાં કલાસ -૧ અધિકારીને વિવિધ કાંઠા વિસ્તારનાં ૪૨ ગામોની ડીઝાસ્ટર સંબંધી જવાબદારી સોંપાઈ છે. ડેમના દરવાજા ખોલવાથી બે વર્ષથી સુકી પડેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાંથી પાણી છોડાયા બાદ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદામાં પાણી વધતા ગોરા ગામ ખાતે આવેલો ડૂબાડૂબ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

તંત્ર તરફથી રાત્રે એક વાગ્યે એલર્ટ આપવામાં આવ્યું હતું. જે અનુસંધાને રાત્રે એક વાગ્યાથી જ ડૂબાડૂબ ડેમ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાત્રે લગભગ અઢી વાગ્યાની આસપાસ ડૂબાડૂબ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સવારે આ બ્રિજ પરથી અંદાજે છ ફૂટ જેટલું પાણી વહી રહ્યું હતું. બ્રિજ પર પાણી ફરી વળતા આશરે આઠ જેટલા ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. જ્યારે આઠ જેટલા અન્ય ગામોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

નર્મદાના કલેક્ટરે ટ્વિટર પર લખ્યું છે કે, ગોરા બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આથી લોકોને વિનંતી કરવામાં આવે છે કે આ રૂટનો ઉપયોગ કરવો નહીં. લોકો ભંડારા-ગરુડેશ્વર કેવડિયા રૂટ પરથી પોતાના ગામ પહોંચી શકે છે.