બનાસકાંઠા: વરસાદ ખેંચાતા અંબાજીના બજારો રખાયા બંધ,કરાઇ વરૂણદેવને રિઝવવા પ્રાર્થના

New Update
બનાસકાંઠા: વરસાદ ખેંચાતા અંબાજીના બજારો રખાયા બંધ,કરાઇ વરૂણદેવને રિઝવવા પ્રાર્થના

દક્ષિણ ગુજરાતમાં મેધાએ જનજીવનને ઘમરોળ્યું છે તો ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં મેધાના દર્શન ના થતાં જગતનો તાત ચિંતિત બન્યો છે. બનાસકાંઠા જિલ્લો પછાત સાથે ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે જોકે ચાલુ વર્ષે વરસાદ ના આવતાં લોકો ચિંતિત બન્યા છે.અને કાગડોળે મેહુલિયાની રાહ જોઈ બેઠા છે પરંતુ મેઘો જાણે રિસાયો હોય તેવાં ઘાટ બનાસકાંઠામાં ઘડાયાં છે ત્યારે આજે બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં વેપારીઓએ બજારો સજ્જડ બંધ રાખી હતી અને તમામ વેપારીઓ વરસાદને રીઝવવા પ્રાર્થના કરશે. જોકે વરસાદને રીઝવવા બંધના એલાનને સપૂર્ણપણે સમર્થન આપવામાં આવ્યું હતું. સમગ્ર અંબાજી આજે બંધ રાખવામાં આવ્યું છે જયારે મંદિરમાં દર્શન કરવાં ભક્તોને અગવડતા ના પડે માટે મંદિરમાં દર્શન સેવા ચાલુ રાખવામાં આવી છે.

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ગરમીનો ઉકળાટ વધતા પ્રજાજનો પરેશાન થઇ રહ્યા છે. જેને લઇ વરૂણ દેવને રિઝવવા છેલ્લા ઘણા વર્ષોથી અંબાજીવાસીઓ દ્વારા ગામ ઉજાણી, હોમ હવન અને મહાદેવજીના મંદિરમાં શિવલિંગને પાણીમાં ડૂબાડવામાં આવે છે. ત્યારે આજે પણ વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ અંબાજીવાસીઓ અને વેપારીઓ દ્વારા વનભોજન, હોમહવન અને શિવલિંગને પાણીમાં ડુબાડી મેઘરાજાને રિઝવવા ઉજવણી કરી હતી. વરૂણ દેવને રિઝવવા માટે ડોક્ટરો પણ પોતાની હોસ્પિટલો બંધ રાખી પ્રાર્થના કરી હતી.

Latest Stories