રાજકોટ પાક વીમા મુદ્દે સતત ત્રીજા દિવસે ખેડૂતોનાં ઉપવાસ, ઢોલ-નગારા વગાડી વિરોધ, બે ખેડૂતની તબિયત લથડી

New Update
રાજકોટ પાક વીમા મુદ્દે સતત ત્રીજા દિવસે ખેડૂતોનાં ઉપવાસ, ઢોલ-નગારા વગાડી વિરોધ, બે ખેડૂતની તબિયત લથડી

રાજકોટ શહેરના બેડી માર્કેટ યાર્ડ ખાતે પાક વીમા મુદ્દે સતત ત્રીજા દિવસે ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખ્યો છે. ૧૨ ખેડૂતો પોતાની માંગણી સાથે ઉપવાસ પર બેઠા છે. જેમાંથી બેની હાલત લથડી હોવાનું સામે આવ્યું છે. કિશોરભાઈ લક્કડ અને કિશોરભાઈ સગપરીયાની તબિયત લથડી છે. આમરણ ઉપવાસ પર સરકારને જગાડવા માટે ખેડૂતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપી રહ્યાં છે. ખેડૂતો ઢોલ, નગારા, જાલર અને ડંકા વગાડી બેહરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. હાલ ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને જે ખેડૂતોની તબિયત ખરાબ છે તેની સારવાર કરી રહી છે. તો પાક વીમા મુદ્દે ઉપાવાસ પર બેઠેલા ખેડૂતોને મળવા માટે લલિત વસોયા પણ પહોંચી ગયા છે અને તેમને સંપુર્ણ ટેકો જાહેર કર્યો છે.

મહત્વનું છે કે ખેડૂતોને કપાસનો પાકવીમો નહીં મળતા રોષ ફેલાયો છે. કપાસનો પાકવીમો ચૂકવવા અંગે ભારતીય કિસાન સંઘે અનેક વખત રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતો વિફર્યા હતા અને ગુરૂવારથી ઉપવાસ પર ઉતર્યા છે. જ્યાં સુધી પાકવીમો નહીં ચૂકવાય ત્યાં સુધી ખેડૂતો ઉપવાસ કરશે. આ ઉપરાંત ભાવાંતર યોજના લાગુ કરવા અને ચેકડેમ રિપેર કરવાની પણ માંગ કરી છે. ગુરૂવારે ખેડૂતો સવારે ૧૧.૦૦ કલાકે બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા. જ્યાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું હતું.

Latest Stories