અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ટેન્કરની અડફેટે બાઈક સવાર બે યુવાનોના મોત
અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર એક ટેન્કર ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવકોના કરુણ મોત નિપજ્યા હતા.
કોસંબાના મહુવેજ ખાતે રહેતા પંકજ રાધેશ્યામ શર્મા અને તેઓની સાથે ભવદીપ વસાવા બંને એક બાઈક પર સવાર થઈને તારીખ 4 ફેબ્રુઆરીની રાત્રે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ હોટલ વર્ષા પાસેથી પસાર થઇ રહ્યા હતા, તે દરમિયાન એક ટેન્કર ચાલકે ટેન્કરને પુર ઝડપે હંકારીને બાઈક સવાર યુવાનોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
સર્જાયેલા અકસ્માતમાં પંકજ શર્માને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પરજ તેઓનું પ્રાણ પંખેરું ઉડી ગયુ હતુ, જયારે ભવદીપ વસાવાએ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યુ છે.
અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો, અંકલેશ્વર શહેર પોલીસે ઘટના અંગે ફરિયાદ દર્જ કરીને ફરાર ટેન્કર ચાલકને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.